![]()
GSRTC Bus Tickets Booking : તહેવાર સમયે એસટી બસમાં મુસાફરોનો ઘસારો જોવા મળતો હોય છે, ત્યારે અલગ-અલગ શહેરમાં વસતા લોકો પોતાના વતને જવા માટે એડવાન્સમાં જ બુકિંગ કરતા હોય છે. તેવામાં દિવાળીના તહેવારને લઈને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)માં મુસાફરીએ એડવાન્સમાં બુકિંગ કર્યું હોવાનું સામે આવ્યુ છે. જેમાં 17 થી 26 ઓક્ટોબરના સમયગાળા માટે કુલ 1.74 લાખ ટિકિટ અગાઉથી બુક કરવામાં આવી છે.
દિવાળીના તહેવારને લઈને 1.74 લાખ ટિકિટ અગાઉથી બુક
મળતી માહિતી મુજબ, 7 ઓક્ટોબરના રોજ, એક જ દિવસમાં 68,051 ટિકિટ બુક થઈ છે. જેનાથી કોર્પોરેશનને 1.93 કરોડ રૂપિયાની એડવાન્સ આવક થઈ હતી. આમાંથી 13,856 ટિકિટ કાઉન્ટર પરથી, 5810 ઈ-બુકિંગ દ્વારા અને અન્ય 43,711 ટિકિટ મોબાઈલ બુકિંગ દ્વારા બુક કરવામાં આવી હતી.
અમદાવાદ, રાજકોટ, સુરત, ભાવનગર, વલસાડ, વડોદરા અને જામનગર જેવા મુખ્ય વિભાગોમાં માગ વધુ જોવા મળી છે, કારણ કે લોકો તેમના વતન જવાની યોજના બનાવી રહ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં કેમ્પસ શરૂ કરશે યુકેની યુનિવર્સિટી, સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ
GSRTC અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વર્ષે એડવાન્સ બુકિંગમાં નોંધપાત્ર વધારો થયો છે. અમદાવાદથી રાજકોટ, જૂનાગઢ, અંબાજી, દ્વારકા, સુરત-વલસાડ અને ઉદયપુરના રૂટ પર સૌથી વધુ બસો દોડશે. આ વધારાની માગને પહોંચી વળવા માટે, આ રૂટ પર 100 થી વધુ ખાસ બસો તૈનાત કરવામાં આવશે.










