![]()
ન્યુ વીઆઈપી રોડ પરની સોસાયટીઓમાં પાણીની લો પ્રેશરની સમસ્યા વચ્ચે હવે નવી લાઈનના જોડાણને લઈને વિવાદ સર્જાયો છે.
વોર્ડ નં. 4 હેઠળ આવતી ઓમકાર સોસાયટી, સિદ્ધાર્થ સોસાયટી અને નારાયણ ધામ સોસાયટીના રહીશો છેલ્લા ઘણા સમયથી પાણીના અપૂરતા પુરવઠાને કારણે પરેશાન છે. રહીશોનું કહેવું છે કે, મુખીનગરથી સરદાર એસ્ટેટ સુધી પસાર થતી કોર્પોરેશનની મુખ્ય પાણી લાઈનમાંથી તેમની સોસાયટીઓને પાણી મળે છે, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી પાણીનું પ્રેશર ખૂબ જ ઓછું રહે છે. તેવામાં વોર્ડ નં. 6માં આવતી બકોરનગરને આ જ મુખ્ય લાઈનમાંથી કનેક્શન આપવામાં આવી રહ્યું છે, અમને પહેલેથી પાણી પૂરતું મળતું નથી, હવે આ જોડાણથી સ્થિતિ વધુ વિકટ બનશે. રહીશોની માંગ છે કે, નવી લાઈન નાખ્યા બાદ અમને પૂરતા પ્રેશરથી પાણી આપો ત્યારબાદ બકોરનગરને જોડાણ આપવા સામે વાંધો નથી.










