![]()
– પોલીસ કાફલાએ ઘટના સ્થળે પહોંચી આગળની તજવીજ હાથ ધરી
– ખેડૂતોએ ખેતરોમાંથી 30 થી વધુ પશુઓને બહાર કાઢી એક જગ્યાએ એકત્ર કરી પાંજરાપોળને સોંપ્યા : પશુ માલિકો સામે કાયદેસરની કાર્યવાહીની માંગ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં પશુઓ દ્વારા અવાર નવાર ગેરકાયદે ખેતરોમાં ભેલાણ કરી ખેડૂતોના ઉભા પાકને નુકસાન પહોંચાડતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે વઢવાણની સીમમાં આવેલા ખેતરોમાં પશુઓ દ્વારા ભેલાણ કરી પાકને નુકસાન પહોંચતા રોષે ભરાયેલા ખેડૂતોએ પશુઓને ખેતરોમાંથી કાઢી પાંજરાપોળ હવાલે કરી પોલીસને જાણ કરી હતી.
વઢવાણ-લીંબડી રોડ પર વઢવાણની સીમમાં આવેલ અંદાજે ૨૦થી વધુ ખેતરોમાં અંદાજે ૩૦૦ વીઘામાં છેલ્લા ઘણા સમયથી પશુ માલિકો દ્વારા પોતાના પશુઓ ચરાવવા માટે છુટા મુકી દેતા પશુઓ ખેડૂતોના ખેતરોમાં ઘુસી ગેરકાયદે રીતે ભેલાણ કરતા હતા. છેલ્લા ઘણા સમયથી ૫૦થી વધુ પશુઓ ખેતરમાં ઘૂસી ગેરકાયદે ભેલાણ કરતા હોવાનો આક્ષેપ ખેડૂતોએ કર્યો છે. પરિણામે ખેડૂતોએ મહામહેનતે કરેલો કપાસ, મગફળી સહિતનો ઉભો પાક ચરી જતા ખેડુતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. જે અંગે ખડૂતોએ અનેક વખત પશુ માલિકોને જાણ કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નહોતો. ત્યારે રોષે ભરાયેલા ખેડૂતોએ પોતાના ખેતરોમાંથી ભેલાણ અને નુકસાન કરતા અંદાજે ૩૦થી વધુ પશુઓને બહાર કાઢી એક જગ્યાએ એકત્ર કરી સ્થાનિક પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ તમામ પશુઓને રોડ પરથી હાંકી વઢવાણ મહાજન પાંજરાપોળ ખાતે લાવી પશુ માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ બનાવને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને આગળની તજવીજ હાથ ધરી હતી.
કમોસમી વરસાદ અને ભેલાણને કારણે નુકસાનના વળતરની માંગણી
કમોસમી વરસાદને કારણે હાલ ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે. ત્યારે બીજી બાજુ પશુઓ દ્વારા ખેતરોમાં ભેલાણ કરી નુકસાન થતા ખેડૂતોને ડબલ નુકસાન થતા પશુ માલિકો સામે કાર્યવાહી ઉપરાંત વળતર ચુકવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.










