India Ranks Second in Global Food Waste: ખોરાકનો બગાડ એક એવી સમસ્યા છે જે વ્યક્તિગત સ્તરથી લઈને વિશાળ ઔદ્યોગિક સ્તર સુધી પ્રસરી ગઈ છે. ‘સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ’ (UNEP – યુનાઈટેડ નેશન્સ એન્વાયરન્મેન્ટ પ્રોગ્રામ) ના અહેવાલ ‘ફૂડ વેસ્ટ રિપોર્ટ 2024’ મુજબ દર વર્ષે એક ટ્રિલિયન ડોલરથી પણ વધુ મૂલ્યના ખોરાકનો બગાડ થાય છે, અને લગભગ 78 કરોડથી વધુ લોકો ભૂખમરાની ચપેટમાં જીવન વિતાવે છે. આ સમસ્યા પાછળ અનેક કારણો રહેલાં છે, જેમાં આપણી ખરીદીની આદતો, ખોરાકનું અતિશય ઉત્પાદન, સખત માપદંડોનો અભાવ વગેરેનો સમાવેશ થાય છે. ખાદ્ય કચરો પર્યાવરણ, અર્થતંત્ર અને સમાજ— એ ત્રણેય પર ગંભીર અસર કરે છે.
પર્યાવરણને પ્રભાવિત કરતી વિકરાળ વૈશ્વિક સમસ્યા
ખોરાકનો વ્યય માત્ર અન્નની બરબાદી જ નથી, એનાથી પૃથ્વીનું પર્યાવરણ પણ ગંભીર રીતે પ્રભાવિત થાય છે. માનવનિર્મિત ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનના ત્રીજા ભાગ માટે ખાદ્ય પ્રણાલીઓ જવાબદાર છે, જેમાં ખોરાકનો બગાડ દર વર્ષે લગભગ 8-10% ફાળો આપે છે. વધેલો અને બગાડેલો ખોરાક ડમ્પિંગ ગ્રાઉન્ડ કે લેન્ડફિલ (ખાલી જમીન)માં નાંખી દેવામાં આવે છે, જ્યાં તેમાં કોહવાટ થતાં મિથેન ગેસ પેદા થાય છે. ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર ગણાતા કાર્બન ડાયોક્સાઈડ કરતાં પણ વધુ શક્તિશાળી ગ્રીનહાઉસ વાયુ મિથેન ગેસ છે. આ રીતે વૈશ્વિક ખાદ્ય પ્રણાલીને લીધે વર્ષે અબજો મેટ્રિક ટન જેટલા હાનિકારક મિથેન ગેસનું ઉત્સર્જન થાય છે, જે વાતાવરણમાં ઘેરાઈ રહેતાં પૃથ્વીનું તાપમાન દિવસે ને દિવસે વધતું જ જાય છે. ખોરાકનું ઉત્પાદન કરવા વપરાયેલા પાણી, જમીન અને ઊર્જાનો પણ વ્યય થાય છે, જેની કિંમત અબજો ડોલરમાં ગણાય છે.
ખોરાકના બગાડનું મૂળ ક્યાં છે?
UNEP ના ફૂડ વેસ્ટ રિપોર્ટમાં જણાવાયું છે કે, વર્ષ 2022માં વિશ્વભરમાં 1.05 અબજ ટનથી પણ વધુ ખોરાકનો બગાડ થયો હતો. આ બગાડ મુખ્યત્વે ત્રણ સ્ત્રોતમાં થાય છે, રિટેલ સ્ટોર્સ, હોટલ-રેસ્ટોરન્ટ અને ઘરોના રસોડા. એ વર્ષે વિશ્વમાં પ્રતિ વ્યક્તિએ સરેરાશ 132 કિલો ખોરાકનો બગાડ થયો હતો, જેમાંથી 79 કિલો ખોરાકનો બગાડ ઘરેલુ રસોડામાંથી જ થયો હતો.
સમૃદ્ધ દેશો ખોરાકનો વધુ બગાડ કરે છે?
એક રસપ્રદ નિરીક્ષણ એ છે કે, ઘરેલુ ખોરાક બગાડનું પ્રમાણ દેશની આર્થિક સમૃદ્ધિ પર આધારિત નથી. ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં પ્રતિ વ્યક્તિ 81 કિલો, ઉચ્ચ-મધ્યમ આવક ધરાવતા દેશોમાં 88 કિલો અને નિમ્ન-મધ્યમ આવક ધરાવતા દેશોમાં 86 કિલો ખોરાક બગાડ થાય છે. આ આંકડા સાબિત કરે છે કે ખોરાકનો વ્યર્થ થવો ફક્ત શ્રીમંત દેશોની જ સમસ્યા નથી, પણ સાર્વત્રિક સમસ્યા છે.
દેશ પ્રમાણે આંકડાકીય વિગતો
ખોરાક બગાડના સંદર્ભમાં જોઈએ તો વિશાળ વસ્તી ધરાવતા ચીન અને ભારત ટોચ પર છે. ચીન દર વર્ષે 108.7 મિલિયન ટન ખોરાક ફેંકી દે છે, જ્યારે ભારતનો આંકડો 78.1 મિલિયન ટન છે. અમેરિકા 24.7 મિલિયન ટન સાથે ત્રીજા સ્થાને છે. જોકે, પ્રતિ વ્યક્તિ બગાડનું પ્રમાણ જુદું છે. ભારતમાં પ્રતિ વ્યક્તિ 55 કિલો બગાડ થાય છે, જ્યારે અમેરિકામાં આ પ્રમાણ 73 કિલો છે. બ્રાઝિલ અને ઘાના જેવા દેશોમાં પ્રતિ વ્યક્તિ બગાડનું પ્રમાણ અનુક્રમે 94 અને 84 કિલો જેટલું છે, તો ફિલિપાઈન્સ અને રશિયા જેવા દેશોમાં આ પ્રમાણ તુલનાત્મક રીતે ઓછું (અનુક્રમે 26 અને 33 કિલો) છે.
વર્ષ 2024માં વિશ્વના ટોચના 10 સૌથી વધુ ખોરાક બગાડનારા દેશો
ક્રમ દેશ વાર્ષિક કુલ ખાદ્ય બગાડ (ટનમાં) – પ્રતિ વ્યક્તિ અંદાજિત બગાડ (કિલોમાં)
1. ચીન – 108.6 મિલિયન – 76
2. ભારત – 78.1 મિલિયન – 55
3. અમેરિકા – 24.7 મિલિયન – 73
4. બ્રાઝિલ – 20.2 મિલિયન – 94
5. ઇન્ડોનેશિયા – 14.7 મિલિયન – 53
6. જર્મની – 6.5 મિલિયન – 78
7. રશિયા – 4.8 મિલિયન – 33
8. ફિલિપાઈન્સ – 2.9 મિલિયન – 26
9. દક્ષિણ આફ્રિકા – 2.8 મિલિયન – 47
10. ઘાના – 2.8 મિલિયન – 84
સ્ત્રોત: UNEP નો ફૂડ વેસ્ટ રિપોર્ટ 2024
હવે આપણે આ ખોરાકનો બગાડ અટકાવવા શું કરી શકાય એ વિશે મુદ્દાસર વાત કરીએ.
1. ખોરાકનો બગાડ રોકીને જરૂરિયાતમંદોને પહોંચાડી શકાય
ગ્લોબલ વોર્મિંગ સતત વધી રહ્યું હોવાથી આપણે ખોરાકના બગાડ રોકવા માટેના ઉકેલો શોધીએ એ હવે જરૂરી બની ગયું છે. મોટી કોર્પોરેટ કંપનીઓથી લઈને નાના સમુદાયો અને દરેક વ્યક્તિએ આમાં ભાગ લેવાની જરૂર છે. નીચે મુજબના ઉપાયો અજમાવી શકાય. વિશ્વમાં કરોડો લોકો ભુખ્યા સૂઈ જતા હોય છે. દરેક શહેર, નગરમાં આવા લોકો રહેતા હોય છે. પ્રસંગોમાં બચેલો ખોરાક એમના સુધી પહોંચાડવાનું પૂણ્યકાર્ય કરી શકાય. હોટલો-રેસ્ટોરન્ટમાં પણ પ્રતિ દિન ખોરાક બગડતો હોય જ છે. એ પણ આવા લોકો સુધી પહોંચાડી શકાય.
2. ખોરાક પહોંચાડવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ
આજે તો દરેકના હાથ મોબાઈલ છે ત્યારે વધેલા ખોરાકનો ડેટા એક જગ્યાએ ઉપલબ્ધ થાય એ માટે મોબાઈલ એપ્લિકેશન બનાવી શકાય. હોટલો-રેસ્ટોરાં જેવા મોટા યુનિટો અને વ્યક્તિગત રીતે પણ લોકો એમાં પોતાની પાસે વધેલા ખોરાકની વિગતો નાંખે અને સ્વયંસેવકો એ ખોરાક ભેગો કરીને જરૂરતમંદો સુધી પહોંચાડે એની ઝડપી વ્યવસ્થા ગોઠવી શકાય. આવી એપને લીધે કયા વિસ્તારમાં કેટલો ફૂડ વેસ્ટ સર્જાય છે એનો પણ અંદાજ આવી શકે.
3. ટકાઉ ખાદ્ય વ્યવસ્થાપન પ્રણાલીઓનું નિર્માણ
ખોરાક લાંબો સમય બગડે નહીં, અને તેનો પુનઃ ઉપયોગ કરી શકાય, એ પ્રકારની ટકાઉ ખાદ્ય વ્યવસ્થાપન પ્રણાલીઓ અપનાવવી જોઈએ. આમ કરવાથી આર્થિક, સામાજિક અને પર્યાવરણીય એમ ત્રણેય સ્તરે ખોરાકનો બગાડ ઘટાડી શકાય છે. લોકોએ બસ, પોતાની ખાનપાનની આદતોમાં સહેજસાજ બદલાવ કરવાનો રહે છે. લાંબા સમય સુધી સંગ્રહ કરીને વાપરી શકાય એવો ખોરાક મેનુમાં સામેલ કરવા બાબતે પણ જનજાગૃતિ આણી શકાય.
4. ખોરાક ફેંકી દેવાને બદલે રિસાયકલ કરી શકાય
ખોરાકને સીધેસીધો ફેંકી દેવાને બદલે એનો ઉપયોગ કરીને નવી વાનગીઓ બનાવી શકાય. વાનગીઓ નહીં તો એનો ઉપયોગ નવા ઉત્પાદનો બનાવવા માટે થઈ શકે. જેમ કે, રાંધેલા ખોરાક અને ખેત અવશેષોમાંથી ખાતર બનાવવું.
5. હોટેલ-રેસ્ટોરન્ટ પ્રોફેશનલ્સને ખોરાકનું મૂલ્ય સમજાવાય
હોટલ-રેસ્ટોરન્ટ સાથે સંકળાયેલા ઘણા વ્યાવસાયિકોને ખ્યાલ જ નથી રહેતો કે, એમને ત્યાં જે ખોરાક બગાડ પામે છે એનું આર્થિક મૂલ્ય શું હોય છે. એવા લોકોને એના વિશે માહિતગાર કરીને એમને સંયમિત ઢબે ખોરાકનું નિર્માણ કરવા માટે પ્રોત્સાહિત કરી શકાય, જેથી એમનું આર્થિક નુકસાન પણ ઓછું થાય.
6. શાળા કક્ષાએથી જાગૃતિની શરૂઆત કરાય
જે રીતે બાળકોને શાળામાં સામાજિક જ્ઞાન આપવામાં આવે છે એ રીતે તેમને ખાદ્ય પ્રણાલી અને ફૂડ વેસ્ટ વિશે પણ જાગૃત કરી શકાય. નવી પેઢીને શિક્ષિત કરવાનો આ એક અસરકારક માર્ગ સાબિત થઈ શકે છે.
7. ખેતીની પદ્ધતિઓમાં પરિવર્તન
ખેડૂતોને વધુ ટકાઉ પાકનું ઉત્પાદન કરવા બાબતે પ્રોત્સાહિત કરી શકાય, જેથી તરત ન વેચાતી ફસલ સડી જવાનું જોખમ ન રહે. ખેતરની નજીકમાં જ કોલ્ડ સ્ટોરેજ જેવા યોગ્ય સંગ્રહસ્થાન ઉપલબ્ધ કરાવાય તો પણ ખેતપેદાશને અહીંથી ત્યાં લઈ જવા દરમિયાન થતો બગાડ અટકાવી શકાય. ઉપજના ઝડપી વેચાણની વ્યવસ્થા ગોઠવીને, ખેડૂતો તેમનો માલ વ્યાવસાયિકોને સીધો વેચી શકે, એ પ્રકારની ગોઠવણ કરીને પણ ખેતપેદાશોનો બગાડ ઓછો કરી શકાય.
8. પ્રાણીઓને ખવડાવાતો ખોરાક
પશુધનને ખોરાકના અવશેષો ખવડાવવાની પ્રથા સદીઓથી ચાલી આવે છે. ખાદ્ય કચરાનો નિકાલ કરવાની એ એક સરળ રીત છે. આવા કચરામાંથી ખાતર બનાવવાનો ઉકેલ પણ સહજ સ્વીકાર્ય છે.
9. વ્યક્તિગત જીવનશૈલીમાં ફેરફાર
ખાદ્ય કચરો માત્ર કોર્પોરેટ ચિંતાનો વિષય નથી, આપણે વ્યક્તિગત રીતે પણ તેના માટે જવાબદાર છે, કારણ કે ઘરેલુ કચરો વૈશ્વિક કુલ કચરાના 37% ભાગનું કારણ બને છે. આ ક્ષેત્રે વાસ્તવિક પરિવર્તન લાવવા માટે આપણે આપણી આદતો અને વિચારધારામાં પરિવર્તન લાવવાની જરૂર છે. અમુક નિયમો અનુસરવા જેવા છે.
10. મૂડને બદલે બુદ્ધિગમ્ય નિર્ણય લઈને રસોઈ બનાવીએ
આપણે ખોરાક પ્રત્યેનો આપણો દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે. આપણે જે ખાવાના મૂડમાં હોઈએ છીએ તે રાંધી નાંખતા હોઈએ છીએ. એમ કરવાને બદલે એક્સપાઈરી ડેટ નજીક હોય એવી ચીજો રાંધીને એ પતાવી દેવાની ટેવ પાડવી જોઈએ.
11. રેફ્રિજરેટરમાં ચીજોની ગોઠવણ પણ બદલીએ
જેની એક્સપાઈરી ડેટ નજીક હોય એવી ચીજો તમારા રેફ્રિજરેટરમાં હાથવગી મૂકો, જેથી એ પહેલા વપરાઈ જાય અને એને ફેંકી દેવાની નોબત ન આવે. લાંબો સમય ટકી રહે એવા ખાદ્ય પદાર્થો રેફ્રિજરેટરમાં અંદરની તરફ મૂકી શકાય. આ ટેવ નાની લાગશે, પણ એનાથી ખોરાક અને પૈસા બંનેની નોંધપાત્ર બચત થશે.
12. ટકાઉ આહાર લેવાનું શરૂ કરીએ
ખોરાકમાં ચરબી, ખાંડ અને પ્રોસેસ્ડ ફૂડનો ઉપયોગ કરવાને બદલે આપણે એવા આહાર તરફ વળવું જોઈએ જેના ઉત્પાદનમાં ઓછું કાર્બન ઉત્સર્જન થતું હોય. જેમ કે, સાબુદાણા, કઠોળ, ફળો અને શાકભાજી. વધુ છોડ-આધારિત ખોરાક ખાવાનો સભાન પ્રયત્ન કરીને આપણે સંતુલિત પોષણ મેળવી શકીએ છીએ અને સાથે સાથે વૈશ્વિક કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવામાં આપણો નાનકડો ફાળો પણ આપી શકીએ છીએ.
13. બિનજરૂરી ખરીદી ટાળી
ઘણાં લોકો બિનજરૂરી ખાદ્ય પદાર્થોની ખરીદી કરતા રહે છે. જરૂરી હોય એના કરતાં વધુ ખરીદી કરનારા લોકો પણ છે. આ રીતે આડેધડ ખરીદી કરીને પછી વધેલો ખોરાક ફેંકી દેવાને બદલે ખપ પૂરતી જ ખરીદી કરવાની ટેવ પાડવી જોઈએ.








