![]()
Aadhaar Update Rules 2025: યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા(UIDAI)એ બાળકોના આધાર કાર્ડ પર બાયોમેટ્રિક અપડેટ માટે રૂ.125 ફી માફ કરી દીધી છે. આ ફી એક વર્ષ માટે માફી કરવામાં આવી છે. પુખ્ત વયના લોકો માટે, નામ, જન્મ તારીખ, સરનામું અથવા મોબાઇલ નંબર અપડેટ કરવા માટે 75 ખર્ચ થાય છે, અને ફિંગરપ્રિન્ટ અને આઇરિસ સ્કેન જેવી બાયોમેટ્રિક વિગતો અપડેટ કરવા માટે 125 ખર્ચ થાય છે. પુખ્ત વયની વ્યક્તિઓએ આ ચાર્જ ચૂકવવો પડશે.
આધાર સેવાઓના નિયમો બદલાયા
નવેમ્બરની શરૂઆત સાથે, સામાન્ય નાગરિકોને લગતા નિયમોમાં ઘણા ફેરફારો અમલમાં આવ્યા છે. સરકાર દ્વારા રજૂ કરાયેલા નવા નિયમોની સીધી અસર સામાન્ય લોકો પર પડશે. આ ફેરફારો મુખ્યત્વે બેંકિંગ અને આધાર સંબંધિત નિયમોને લગતા છે. UIDAI (યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા) 1 નવેમ્બરથી કેટલાક મહત્ત્વપૂર્ણ ફેરફારો લાગુ કરી રહી છે.
આ ફેરફારો હેઠળ, આધાર કાર્ડ ધારકો હવે કોઈપણ સમયે તેમનું નામ, મોબાઇલ નંબર, જન્મ તારીખ અને સરનામું બદલી શકે છે. આ ફેરફારો કરવા માટે હવે આધાર કેન્દ્રની મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં. નવા નિયમો હેઠળ, તમે આ ફેરફારો ગમે ત્યાંથી ઑનલાઇન કરી શકો છો. UIDAI એ મુખ્યત્વે આધાર સંબંધિત ત્રણ ફેરફારો કર્યા છે, જેનો હેતુ આધાર સંબંધિત સેવાઓની ઝડપી અને સરળ ઍક્સેસ પ્રદાન કરવાનો છે.
યુઆઈડીએઆઈ તરફથી માહિતી આપવામાં આવી છે કે, આધાર સેવાઓની ફીમાં ફેરફાર કરાયા છે. બાયોમેટ્રિક અપડેટ એટલે ફિંગરપ્રિન્ટ, આઈરિસ અથવા ફોટો અપડેટ કરવા માટે હવે 125 રૂપિયાની ચૂકવણી કરવાની રહેશે. જે અગાઉ 100 રૂપિયા ફી હતી.
ત્યારે ડેમોગ્રાફિક અપડેટ માટે 75 રૂપિયા ફી વસૂલવામાં આવશે. ડેમોગ્રાફિક અપડેટ હેઠળ આધાર કાર્ડ હોલ્ડરનું નામ, સરનામું, જન્મતારીખ, મોબાઈલ નંબર સહિતની માહિતી બદલવામાં આવે છે. યુઆઈડીએઆઈ તરફથી આ ફેરફાર માટે પહેલા 50 રૂપિયા લેવામાં આવતા હતા.
પહેલી નવેમ્બરથી જ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના નવા રજિસ્ટ્રેશન લેવા માટે અરજી કરનારાઓને અરજી કર્યાની તારીખ પછીના કામકાજના ત્રણ જ દિવસમાં રજિસ્ટ્રેશન આપી દેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. તેમાં ઓછા જોખમવાળા જીએસટી રજિસ્ટ્રેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. મહિનાની રૂ. 2.5 લાખથી વધુની ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવાની ન હોય તેમને ઓછા જોખમી રજિસ્ટ્રેશનની કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે. આ રજિસ્ટ્રેશન આપવામાં કોઈપણ પ્રકારની માનવીય દખલગીરી કરવામાં આવશે નહિ. માનવીય દખલગીરી વિના આજે પહેલા જ દિવસે 45 મિનિટથી ઓછા સમયમાં અમદાવાદમાં જીએસટી નંબર એલોટ કરી દેવામાં આવ્યો હોવાનો કિસ્સો બન્યો છે. પહેલી નવેમ્બરથી ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવા માટે આધાર ઓથેન્ટિકેશન પણ ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે. આ વ્યવસ્થા કરવા પાછળનો મૂળભૂત હેતુ જીએસટી રજિસ્ટ્રેશનની પ્રક્રિયાને પેપરલેસ, ઓટોમેટેડ (આપોઆપ થઈ જતી પ્રક્રિયા) અને પારદર્શક પ્રક્રિયામાં રૂપાંતરિત કરવાનો છે.
પહેલી નવેમ્બરથી જ બેંક ખાતેદારે તેમના બેન્ક એકાઉન્ટ એક જ ખાતા, લોકર અથવા સલામત કસ્ટડી વસ્તુ માટે ચાર લોકોને નોમિનેટ કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ નિયમનો હેતુ પરિવારો માટે કટોકટીના સમયે ભંડોળ મેળવવાનું સરળ બનાવવા અને માલિકી અંગેના વિવાદોને ટાળવાનો છે. ગ્રાહકો માટે નોમિની ઉમેરવા અથવા બદલવાની પ્રક્રિયા પણ સરળ બનાવવામાં આવી છે.
આજથી જ એસબીઆઈના કાર્ડના વપરાશકર્તાઓએ ક્રેડ અને મોબીક્વિક જેવી થર્ડ પાર્ટી એપ્લિકેશનો મારફતે કરવામાં આવતી શિક્ષણ સંબંધિત નાણાંકીય ચુકવણીઓ પર 1 ટકા ફી ચૂકવવી પડશે. તદુપરાંત એસબીઆઈ કાર્ડનો ઉપયોગ કરીને ડિજિટલ વોલેટમાં 1,000 થી વધુ જમા રાખવા માટેની પ્રક્રિયા કરવા પર એક ટકાના દરે ફી વસલવાનું નક્કી કરવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના તમામ નિવૃત્ત કર્મચારીઓએ નવેમ્બરના અંત સુધીમાં તેમનું વાષક જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું આવશ્યક છે. બેંક શાખામાં અથવા આનલાઇન જીવન પ્રમાણ પોર્ટલના માધ્યમથી મોકલી શકાય છે. હયાતીનું પ્રમાણપત્ર આપવાની 30મી નવેમ્બરની સમયમર્યાદા ચૂકી જનારાઓને પેન્શન મળવામાં વિલંબ થવાની સંભાવના છે. તેમ જ તેમનું પેન્શન હયાતી સર્ટિફિકેટ અપડેટ ન કરે ત્યાં સુધી બંધ કરી દેવામાં આવે તેવી સંભાવના રહેલી છે.
એનપીએસમાંથી યુપીએસમાં જવાની મુદત હવે 30મી નવેમ્બર સુધી લંબાવી
કેન્દ્ર સરકારના કર્મચારીઓ જે નેશનલ પેન્શન સ્કીમથી યુનિફાઇડ પેન્શન સ્કીમમાં પોતાના રોકાણને લઈ જવાની માગણીના અનુસંધાનમાં તેમને આ ફેરફાર કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 30 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. કર્મચારીઓને વિચાારીને નિર્ણય લેવા માટે આ વિકલ્પ આપવામાં આવ્યો છે.









