![]()
Vadodara : વડોદરાના ન્યુ વીઆઇપી રોડ પર આવેલા ખોડીયાર નગર નજીક વ્રજધામ સોસાયટીમાં રહેતા 65 વર્ષના દયાનંદભાઈ બાબુરાવ પવાર ગત 5મી તારીખે મોર્નિંગ વોક માટે નિકળ્યા હતા તે દરમિયાન અજાણ્યા કાર ચાલકે તેમને ટક્કર મારતા પગમાં ઇજા પહોંચી હતી. અકસ્માતમાં તેઓને પગમાં ફેક્ચર થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં પાંચમી તારીખે દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ સારવાર હેઠળ હતા તે દરમિયાન આજે સવારે 6:00 વાગે સર્જીકલ બિલ્ડિંગના પહેલા માળેથી બારીમાંથી નીચે ભૂસકો મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે તેઓનો બચાવ થઈ ગયો હતો હોસ્પિટલના સ્ટાફે દોડીને તેઓને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરી સારવાર શરૂ કરી છે. આપઘાતના પ્રયાસનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.










