![]()
બરોડા ક્રિકેટ એસોસિએશન (બીસીએ)ની વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) પહેલાં સભ્યોને એકઠા કરવાની અને વ્યૂહરચના ઘડવાની પ્રવૃત્તિઓ તેજ બની છે. આજેસત્યમેવ જયતે ટીમની પત્રકાર પરિષદમાં સત્તાધારી જૂથની નીતિઓ સામે વિરોધનો સૂર ઊઠે તેવા મુદ્દાઓ ૫૨ ચર્ચા થઈ હતી.
બીસીએના આંતરિક રાજકારણમાં ભારે ઉથલપાથલના એંધાણ વર્તાતા આવતીકાલે તા. ૧૧ નવેમ્બરે એજીએમ તોફાની બને તેવા સંકેતો મળી રહ્યા છે. સત્યમેવ જયતે ટીમે યુપી – વડોદરાની મેચો રદ થવી, સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈનનુ ઉલ્લંઘન, બીસીએ બંધારણ મુજબ એજીએમ ન યોજવી, કોટંબી સ્ટેડિયમના બાંધકામમાં ભ્રષ્ટાચાર, ચૂંટણી લંબાવવા બંધારણમાં ફેરફાર સહિતના મુદે ચર્ચા કરી સત્તાપક્ષની નીતિનો એજીએમમાં વિરોધ કરવા સભ્યોને આગળ આવવા અપીલ કરી હતી. અગાઉ પ્રમુખ પ્રણવ અમીન એન્ડ કંપની દ્વારા પોતાના સમર્થકો સાથે બેઠક યોજાઈ હતી. ત્યારબાદ દર્શન બેંકર જૂથની બંધ બારણે મળેલી બેઠકના પગલે રાજકારણ ગરમાયું હતું. હવે દર્શન બેંકર જૂથે સત્યમેવ જયતે ગ્રુપને લીડ કરતા ચર્ચાનો વિષય બન્યો છે.










