![]()
2021થી સમારકામના અભાવે 7 કિ.મી.નો રોડ બિસ્માર
અમરેલીના કોન્ટ્રાક્ટર મણીલાભાઈ આમલિયાએ 5.50 ફૂટ રોડ પહોળો કરવાનું કામ કર્યા બાદ 10 મહિનાથી ડામર કામ બંધ
આણંદ: પામોલથી બોરસદનો 7 કિ.મી.નો રોડ 4 વર્ષથી બિસ્માર બનતા લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. રૂા. ૩.૨૫ કરોડના ખર્ચે રોડના નવીનીકરણનું કામ શરૂ કરાયું છે. એક વર્ષથી રોડ બનાવવામાં વિલંબ થવાના કારણે સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો છે.
બોરસદ તાલુકામાં પામોલથી બોરસદનો ૭ કિ.મી.નો રોડ ૨૦૨૧ બાદ પેચવર્ક અને ખાડાં પૂરવાનું કામ ના થવાથી બિસ્માર બન્યો છે. રોડ સાંકડો હોવાથી બંને તરફ ૫.૫૦ ફૂટ પહોળો કરીને નવો ડામર રોડ બનાવવાનું ટેન્ડર એક વર્ષ અગાઉ રૂા. ૩.૨૫ કરોડનું ટેન્ડર બહાર પાડી અમરેલીના કોન્ટ્રાક્ટર મણીભાઈ આમલિયાને કામ અપાયું હતું. એક વર્ષ અગાઉ કોન્ટ્રાક્ટર દ્વારા રોડ પહોળો કરવાનું કામ શરૂ કરીને ત્રણ મહિનામાં કામગીરી પૂર્ણ કરી હતી. કામ પૂર્ણ થયા બાદ ૧૦ મહિના થઈ ગયા હોવા છતાં ડામરનું કામ કરવામાં વિલંબ થઈ રહ્યો છે. પરિણામે રસ્તો ખખડધજ હોવાથી વાહન ચાલકો, રાહદારીઓ સહિત સ્થાનિકો હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે.
સ્થાનિક આગેવાન સહિત ગ્રામજનોનું કહેવું છે કે, પામોલથી ડેમી, દાવોલ, બોદાલ સહિતના ગામના અન્ય રોડ છેલ્લા ૪ વર્ષમાં બે વખત નવા બનાવવામાં આવ્યા છે પરંતુ, પામોલથી બોરસદનો રોડ બનાવવામાં ઠાગાઠૈયા કરવામાં આવતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. એક સપ્તાહ અગાઉ રોડનું કામ વહેલી તકે શરૂ કરાશે તેવી બાંહેધરી આપવા છતાં રોડનું કામ શરૂ નહીં થતા સ્થાનિક ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી સામે પણ લોકોમાં આક્રોશ ફેલાયો છે. ત્યારે સત્વરે નવો રોડ બનાવાય તેવી માંગણી સ્થાનિકો કરી રહ્યા છે.
પાણીની લાઈનનું કામ પૂર્ણ થયા બાદ રોડનું કામ કરાશે : માર્ગ મકાનના ઈજનેર
આ અંગે માર્ગ અને મકાન વિભાગ આણંદના ઇજનેર જીગર પટેલે જણાવ્યું હતું કે, ટેન્ડર મંજૂર થયું છે પરંતુ, આ રોડ ઉપર જીયુડીસીની પાણીની લાઈનનું કામ થતું હોવાથી નવો રોડ બનાવવાનું કામ અટકી ગયું છે. પાણીની લાઈનનું કામ પૂર્ણ થયા બાદ તુરંત જ રોડનું કામ શરૂ કરાશે.
દહેમી, કસુંબાદ, નામણથી બોરસદ જવાનો ટૂંકો રસ્તોથી વાહન વ્યવહાર વધુ
પામોલ- બોરસદ રોડ વિસ્તારના દહેમી, કસુંબાદ, નામણ સહિતના ગામો માટે બોરસદ જવાનો ટૂંકો રસ્તો હોવાથી આખો દિવસ વાહન વ્યવહારથી ધમધમતો રહે છે.










