![]()
જગતના તાતને લાઈનમાં રહેવા મજબુર બનાવતી સરકાર : સરકારે KRP પોર્ટલ 15 દિવસ માટે ખુલ્લું મુક્યું પરંતુ જૂનાગઢ જીલ્લામાં 2 દિવસમાં માત્ર 4,000 ખેડૂતોની અરજી ન થઈ
જૂનાગઢ, : જૂનાગઢ જીલ્લામાં હજારો ખેડૂતો સહાય માટે અરજી કરવા દિવસભર લાઈનમાં ઉભા રહ્યા પરંતુ સર્વરના ધાંધીયાના કારણે માત્ર ગણ્યાગાંઠયા ખેડૂતોની જ અરજી થઈ શકી છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા રાહત પેકેજ માટેની સહાય માટે અરજી કરવા દોડધામ કરી રહ્યા છે પણ બે દિવસમાં માત્ર ચાર હજાર જેટલા ખેડૂતોની અરજી પણ અપલોડ થઈ શકી નથી. જો આવી જ સ્થિતિ રહી તો 15 દિવસમાં લાખો ખેડૂતો કેવી રીતે અરજી કરી શકશે ? તે એક સવાલ છે.
કૃષિ રાહત પેકેજ-2025અંતર્ગત ખેડૂતોને પાક નુકસાનીનું વળતર મેળવવા માટે સરકાર દ્વારા તા.14-11-2025 પથી 15 દિવસ માટે કેઆરપી પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે. જેમાં ખેડૂતોને પાક નુકસાનીનું વળતર મેળવવા ઓનલાઈન પોર્ટલ પર ડેટા એન્ટ્રી કરવાની થાય છે. દરેક ગામડે વીસીઈ દ્વારા તથા તાલુકા મથકે સીટી તલાટી સહિતના કર્મચારીઓ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ બે દિવસથી સર્વર ક્યારેક જ ચાલે છે મોટાભાગે સર્વર બંધ રહેતું હોવાથી ડેટા એન્ટ્રી થઈ શકતી નથી. જો સમયસર ખેડૂતોની પાક નુકસાની વળતર અંગેની અરજીની ડેટા એન્ટ્રી ન થાય તો સહાયથી વંચિત રહેવાની સ્થિતિ ઉભી થાય તેમ છે. જૂનાગઢ જીલ્લાના વિસાવદર, માણાવદર, માંગરોળ, કેશોદ, ભેસાણ, મેંદરડા, માળિયાહાટીના, જૂનાગઢ શહેર અને ગ્રામ્યના હજારો ખેડૂતો બે દિવસથી અરજી કરવા માટે વીસીઈ પાસે ધક્કા ખાઈ રહ્યા છે. ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે, કેટલાય દિવસ સુધી સરકારે રાહ જોવડાવી રાહત પેકેજ જાહેર કર્યું અને તેમાંય અરજી માટે ખેડૂતોને લાઈનોમાં ઉભું રહેવું પડે છે. લાઈનમાં ઉભા રહેવા છતાં પણ ક્યારે કામ થાય તેના કોઈ ઠેકાણા નથી. આવી સ્થિતિના કારણે ગ્રામ્ય પંથકના ખેડૂતોમાં સરકારની આવી સિસ્ટમ સામે ભારોભાર નારાજગી છે.
કેટલાય ગામડાઓમાં ખેડૂતો પાસેથી ઓનલાઈન અરજી કરવા માટે 100-200 રૂપીયા લેવામાં આવતા હોવાની રાવ ઉઠી રહી છે. ખેડૂતોને કોઈપણ અરજીઓ માટે સરકાર સતત લાઈનમાં ઉભા રાખતી હોવાના આગેવાનો દ્વારા આક્ષેપો થઈ રહ્યા છે. જે ખેડૂત છે તેને સરકારી સહાય જોઈતી હોય તો તેઓએ ઓનલાઈન અરજી કરવાની છે. આ ખેડૂતો પૈકી માત્ર ચાર હજાર જેટલા ખેડૂતોની પણ ઓનલાઈન અરજી થઈ શકી નથી. આ પોર્ટલ માત્ર 15 દિવસ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. ખેડૂત આગેવાનોએ સવાલો ઉઠાવ્યા છે કે, બે દિવસમાં ચાર હજાર જેટલા ખેડૂતોની અરજી ન થઈ શકે તો હવે બાકીના 13 દિવસમાં બે લાખથી વધુ ખેડૂતોની કેવી રીતે અરજી થશે ?










