![]()
– કરમસદ-આણંદ મહાનગરપાલિકાના ટેક્સ વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી
– મિલકતધારકોને નોટિસ આપી છતાં રૂપિયા 4.50 લાખનો બાકી વેરો નહીં ભરતા મનપાની તવાઇ : અન્ય એકમો પાસેથી રૂપિયા 70 હજારના વેરાની વસૂલાત
આણંદ : કરમસદ-આણંદ મહાનગરપાલિકાના ટેક્સ વિભાગની ટીમ દ્વારા બાકી વેરો નહીં ભરનારા મિલકતધારકો સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં આણંદમાં રૂપિયા ૪.૫૦ લાખનો બાકી વેરો નહીં ભરતા એચ. આર. પ્રાઈમ કોમ્પ્લેક્સની ૨૭ દુકાનો સીલ કરવામાં આવી હતી. જ્યારે અન્ય એકમો પાસેથી રૂ. ૭૦ હજારની વેરા વસૂલાત કરવામાં આવી હતી.
મનપા વિસ્તારમાં વિવિધ મિલકતોનો બાકી રહેલો ટેક્સ ભરવા જે-તે મિલકત ધારકોને નોટિસ આપવામાં આવી હતી અને આ મિલકત ધારકોએ તેમની મિલકતનો ભરવા પાત્ર થતો બાકી રહેલો વેરો વિના વિલંબે જમા કરાવવા માટે જણાવવામાં આવ્યું છે. છતાં અમુક મિલકત ધારકો દ્વારા નિયમિત ટેક્સ જમા કરાવવામાં ન આવતા ટેક્સ વિભાગની રિકવરી ટીમ દ્વારા વસૂલાત કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
આ ઝુંબેશના ભાગરૂપે શહેરના એ.વી. રોડ ઉપર આવેલા એચ. આર. પ્રાઈમ કોમ્પ્લેક્સમાં રૂ. ૪.૫૦ લાખનો બાકી વેરો ભરપાઈ ન થવાના કારણે ૨૭ દુકાન સીલ કરવામાં આવી હતી. મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર દ્વારા મનપા વિસ્તારમાં આવેલી મિલકત ધારકોનો વેરો બાકી હોય તેમણે સમયસર વેરો જમા કરાવવા તાકીદ કરી છે. અન્યથા ટેક્સ વિભાગની ટીમ દ્વારા વેરો ભરપાઈ ન કરાતા દુકાનો, એકમ સીલ કરવામાં આવશે અને વેરો ન ભરતા લોકો પાસેથી બાકી વેરો વસૂલવાની ઝુંબેશ હાલ ચાલુ રહેશે તેમ જણાવવામાં આવ્યું હતું.










