![]()
BJP MP Kangana Ranaut On West Bengal CM Mamata Banerjee Statement : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ (SIR) મામલે ભાજપ અને ચૂંટણી પર પર નિશાન સાધ્યા બાદ ભાજપ સાંસદ કંગના રણૌતે રોષ વ્યક્ત કર્યો છે. મમતાએ આક્ષેપ કર્યો છે કે, ‘ચૂંટણી પંચ હવે ભાજપ કમિશનમાં ફેરવાઈ ગયું છે. 2026ની બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા બે મહિનાની અંદર બળજબરીથી SIR કવાયત ઉતાવળમાં શા માટે પૂર્ણ કરાઇ રહી છે?’ તો કંગનાએ પણ કહ્યું છે કે, દેશ તેમની ધમકીઓથી ડરવાનો નથી. આ સાથે કંગનાએ પાકિસ્તાન પર પણ નિશાન સાધ્યું છે.
ધમકીઓથી દેશ ડરવાનો નથી : કંગના
મમતા નિવેદન બાદ કંગનાએ કહ્યું છે કે, ‘મમતા બેનરજીની ધમકીઓથી દેશ ડરવાનો નથી. આખો દેશ ઘૂસણખોરોને હટાવવા માંગે છે. જે રીતે શરીરમાં કેન્સર હોય છે, તેવી જ રીતે દેશમાં આ ઘૂસણખોરો હોય છે, તેથી આખો દેશ તેમને હાંકી કાઢવા માંગે છે.’
કંગનાએ પાકિસ્તાન પર પણ સાધ્યું નિશાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રામ મંદિરમાં ધ્વજા આરોહણ કરાયા બાદ પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો હતો. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે ધ્વજા આરોહણ અંગે પ્રતિક્રિયા આપ્યા બાદ ભાજપ સાંસદ કંગનાએ કહ્યું કે, ‘પાકિસ્તાન ગભરાઈ ગયું છે, કારણ કે તેમનો દેશ દિવસેને દિવસે ડુબી રહ્યો છે, ભીખ માંગી રહ્યું છે. આપણો દેશ વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર છે અને ટૂંક સમયમાં સૌથી મોટું અર્થતંત્ર બની જશે.’
આ પણ વાંચો : ચૂંટણી પંચ હવે ભાજપ કમિશનમાં ફેરવાઇ ગયું છે : મમતા બેનરજી
મમતા બેનરજીએ શું કહ્યું હતું?
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ 25 નવેમ્બરે મતદાર યાદીમાં ચાલી રહેલા એસઆઇઆર માટે ચૂંટણી પંચની ટીકા કરી હતી અને દાવો કર્યો હતો કે રાજ્યના મતુઆ બહુમતીવાળા વિસ્તારોના મતદારો જો નાગરિકતા સંશોધન એક્ટ હેઠળ પોતાને વિદેશી જાહેર કરે છે તો તેમને તરત જ ડિલિસ્ટ કરી દેવામાં આવશે. લોકોને સંબોધતા મમતાએ વચન આપ્યું હતું કે, જો બંગાળમાં તેમને પડકારવામાં આવશે તો સમગ્ર દેશમાં ભાજપના પાયાને હચમચાવી નાખવામાં આવશે. માનવીનાં પ્રાણ ખૂબ જ મૂલ્યવાન છે. તેમણે લોકોને અપીલ કરી હતી કે એસઆઇઆરના ભયથી આત્મહત્યા ન કરે. તેમણે દાવો કર્યો હતો કે વોટર રિવિઝન પ્રોસેસ અંગે ફેલાયેલા ભયને કારણે અગાઉ જ 35-36 મોત થઇ ગયા છે જેમાં આત્મહત્યા પણ સામેલ છે. ડ્રાફ્ટ યાદીઓ ચૂંટણી પંચ અને ભાજપ દ્વારા સર્જાયેલી વિનાશક પરિસ્થિતિ દર્શાવશે. ચૂંટણી સંસ્થા ભાજપ કમિશનમાં ફેરવાઇ ગઇ છે જે દિલ્હીના સૂચનો પર કાર્ય કરી રહી છે અને તે એઆઇને હેરફેરના સાધન તરીકે ઉપયોગ કરશે.
પાકિસ્તાને રામ મંદિરમાં ધ્વજા આરોહણ અંગે શું કહ્યું હતું?
અયોધ્યામાં રામ મંદિરના શિખર પર ધ્વજા આરોહણ થતાં જ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ મામલે પોતાનું નિવેદન જાહેર કરીને રાજદ્વારી દંભનું પ્રદર્શન કર્યું હતું. તેણે એવો પાયાવિહોણો દાવો કર્યો છે કે, રામ મંદિરનું નિર્માણ ભારતના લઘુમતીઓ અને મુસ્લિમ સાંસ્કૃતિક વારસા માટે ખતરો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ બનાવને હિન્દુત્વની વિચારસરણીના પ્રભાવ હેઠળ ભારતમાં મુસ્લિમ સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાને જાણી જોઈને નાશ કરવાના પ્રયાસો તરીકે ગણાવ્યો છે, જે ભારતમાં ધાર્મિક લઘુમતીઓ પર દબાણ લાવવાની મોટી પેટર્નનો ભાગ હોવાનો આક્ષેપ કર્યો છે.
આ પણ વાંચો : રામમંદિર પર ધ્વજારોહણથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું, વાંચો યુએનમાં જઈને શું કરી અપીલ










