![]()
Ahmedabad SIR: અમદાવાદ જિલ્લાના જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી સુજીત કુમારે જિલ્લામાં ચાલી રહેલી સ્પેશિયલ વોટર રિવિઝન (SIR)ની કામગીરી અંગે માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે, ‘હાલમાં જિલ્લામાં નામાંકન ફોર્મ એકત્ર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. બુથ લેવલ ઓફિસર બીએલઓ મિત્રો ડોર ટુ ડોર ફરીને લોકો સુધી પહોંચી રહ્યા છે અને સંપૂર્ણ રીતે ભરાયેલા ફોર્મનું કલેક્શન કરી રહ્યા છે. તમામ મતદાર મિત્રોને જિલ્લા ચૂંટણી અધિકારી તરફથી વિનંતી કરવામાં આવી છે કે જ્યારે પણ બીએલઓ મિત્રો તેમની પાસે પહોંચે, ત્યારે તેઓ સંપૂર્ણ રીતે ફોર્મ ભરીને બીએલઓ મિત્રોને આપી શકે છે.’
કેમ્પોનું આયોજન
આ કામગીરી આમ તો ચોથી ડિસેમ્બર સુધી ચાલવાની છે, પરંતુ અધિકારીએ મતદાર મિત્રોને વિનંતી કરી છે કે જો તેમને ફોર્મ મળી ગયા હોય અને વિગતો ભરી હોય, તો ચોથી ડિસેમ્બર સુધી રાહ જોવાની જરૂર નથી. બીએલઓ ચોથી ડિસેમ્બર પહેલા જ્યારે પણ આવે ત્યારે તેમને ફોર્મ આપી શકાય છે.
બીએલઓ દ્વારા ડોર ટુ ડોર સર્વે દરમિયાન ઘરેથી ફોર્મ કલેક્ટ કરવામાં આવશે. આ ઉપરાંત 29મી નવેમ્બર અને 30મી નવેમ્બરના રોજ કેમ્પો પણ ગોઠવવામાં આવ્યા છે. તમામ મિત્રોને વિનંતી કરવામાં આવી છે કે જે લોકો રહી ગયા હોય, તે કેમ્પમાં આવીને સંપૂર્ણ રીતે ફોર્મ્સ ભરીને તમામ વિગતો સાથે ફોર્મ સબમિટ કરી શકે છે. સ્વૈચ્છિક રીતે, જે મતદારોની ઈચ્છા હોય તેવા લોકો સહાયક પુરાવાઓ પણ આ કેમ્પ દરમિયાન સબમિટ કરી શકે છે.
2002ની મતદાર યાદીમાં નામ શોધવા માટેની લિંક
ઘણાં મતદાર મિત્રોને કન્ફ્યુઝન છે કે તેમનું નામ 2002ની મતદાર યાદીમાં નથી. તેના માટે પણ ઈસીઆઈ નેટ ECI NET નામની એક લિંક આપવામાં આવી છે. આ લિંક ઉપર મતદારો પોતાનું નામ 2002ની મતદાર યાદીમાં ક્યાં હતું તેની અમુક વિગતો ભરીને પોતાનું નામ શોધી શકે છે. જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે તેમણે ફરીથી મતદાર મિત્રોને વિનંતી કરી છે કે તેઓ બીએલઓ મિત્રોને પૂરતો સહકાર આપે અને સંપૂર્ણ રીતે ફોર્મ ભરીને તેમને સબમિટ કરે.
અમદાવાદ જિલ્લાના વિવિધ વિધાનસભા મતવિસ્તારોમાં મતદાર યાદી સુધારણા ઝુંબેશના ભાગરૂપે 29મી અને 30મી નવેમ્બરના રોજ વિશેષ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ જિલ્લામાં કુલ 50 કેમ્પ યોજાશે.
આ પણ વાંચો: મુંદરામાં શંકાનો કરૂણ અંજામ: પત્નીની છરીના ઘા ઝીંકી હત્યા કર્યા બાદ પતિએ આત્મહત્યા કરી
સૌથી વધુ કેમ્પ ધરાવતા મતવિસ્તારો
• ધંધુકા મતવિસ્તારમાં સૌથી વધુ 7 કેમ્પનું આયોજન છે. આ કેમ્પો પ્રાંત અધિકારીની કચેરી ધંધુકા, મામલતદાર કચેરી ધંધુકા, ધોલેરા, બરવાળા, રાણપુર, નગરપાલિકા ધંધુકા અને નગરપાલિકા બરવાળા ખાતે યોજાશે.
• વિરમગામમાં પ્રાંત અધિકારીની કચેરી વિરમગામ, મામલતદાર કચેરી માંડલ, દેત્રોજ અને વિરમગામ, તેમજ તાલુકા પંચાયત કચેરી માંડલ અને વિરમગામ ખાતે કુલ 6 કેમ્પ છે.
• સાણંદ મતવિસ્તારમાં 6 કેમ્પ છે, જેમાં પ્રાંત અધિકારીની કચેરી સાણંદ, મામલતદાર કચેરી સાણંદ અને બાવળા, તાલુકા પંચાયત કચેરી સાણંદ અને બાવળા, અને ચીફ ઓફિસર સાણંદ ખાતે કેમ્પ યોજાશે.
ત્રણ કેમ્પ ધરાવતા મતવિસ્તારો
• ઘાટલોડિયામાં મામલતદાર પ્રાંતની કચેરી, પશ્ચિમ મહેસૂલ ભવન ગોતા, મામલતદાર કચેરી ઘાટલોડિયા અને સોલા સરકારી ચાવડી ખાતે 3 કેમ્પનું આયોજન છે.
• ઠક્કરબાપા નગરમાં ભગવતી વિદ્યાલય બાપુનગર, ઠક્કરબાપાનગર વિદ્યા મંદિર અને સૈજપુર ગુજરાતી શાળા નંબર 6 ખાતે 3 કેમ્પ યોજાશે.
• મણિનગરમાં સિટી ડેપ્યુટી કલેક્ટરની કચેરી લાલ દરવાજા, સરકારી ચાવડી ખોખરા અને સરકારી ચાવડી દાણીલીમડા ખાતે 3 કેમ્પ રહેશે.
• દાણીલીમડા અનુસૂચિત જાતિ માટેના 3 કેમ્પ દાણીલીમડા ગુજરાતી શાળા નંબર 1, ઉર્દૂ શાળા નંબર 2 અને પબ્લિક સ્કૂલના એક જ કમ્પાઉન્ડમાં અંબાજી માતાના મંદિર પાસે, દાણીલીમડા ગામમાં રખાયા છે.
• દસક્રોઈમાં પ્રાંત અધિકારીની કચેરી, દસક્રોઈ મહેસૂલ ભવન, મામલતદાર કચેરી દસક્રોઈ અને નગર પાલિકા બારેજા ખાતે 3 કેમ્પ યોજાશે.
• ધોળકામાં પ્રાંત અધિકારીની કચેરી, ધોળકા તાલુકા સેવા સદન, મામલતદાર કચેરી ધોળકા અને મામલતદાર કચેરી બાવળા ખાતે 3 કેમ્પનું આયોજન છે.
એક અથવા બે કેમ્પ ધરાવતા મતવિસ્તારો:
• જમાલપુર-ખાડિયામાં સરકારી કન્યા શાળા રાયખડ અને બહેરામપુરા ગુજરાતી શાળા નંબર 3/4 ખાતે 2 કેમ્પ યોજાશે.
• વેજલપુર સિટી મામલતદાર કચેરી વેજલપુરમાં કેમ્પ યોજાશે.
• વટવામાં વસ્ત્રાલ પબ્લિક સ્કૂલ વસ્ત્રાલ ખાતે કેમ્પનું આયોજન છે.
• એલિસબ્રિજ શાળા નંબર 2, ગીતાબાગ સોસાયટી, પાલડીમાં કેમ્પ રહેશે.
• નારણપુરામાં મહાત્મા ગાંધી સ્કૂલ, વાડજમાં કેમ્પ યોજાશે.
• નિકોલમાં અંબિકાનગર ગુજરાતી શાળા નંબર 1, ઓઢવ ખાતે કેમ્પ યોજાશે.
• નરોડામાં મામલતદાર કચેરી અસારવા, દેવી સિનેમા પાસે, નરોડામાં કેમ્પ રહેશે.
• બાપુનગર મ્યુનિસિપલ હિન્દી શાળા નંબર 1/2, બાપુનગરમાં કેમ્પનું આયોજન છે.
• અમરાઈવાડીમાં કે.કે.શાસ્ત્રી કોલેજ કેમ્પસ, ખોખરા, અમરાઈવાડીમાં કેમ્પ યોજાશે.
• દરિયાપુરમાં ભવન્સ કોલેજ, ખાનપુર ખાતે કેમ્પ યોજાશે.
• સાબરમતીમાં આઈ.ટી.આઈ. રાણીપ-ગોતામાં કેમ્પ રખાયો છે.
• અસારવા બહુમાળી ભવન, ગિરધરનગર બ્રિજના છેડે ખાતે કેમ્પનું આયોજન છે.










