અમદાવાદ, શનિવાર
તાજેતરમાં ડીસીપી ઝોન-7ની હદમાં આવતા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ચાલતા મસાજની આડમાં ચાલતા દેહવિક્રયનો કાળો ધંધો કરતા ચાર સ્પામાં દરોડા પાડીને કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં સરખેજની હદમાં ઝીરો સ્પા, બોડકદેવમાં બોડી બટર સ્પા, આનંદનગર પોલીસ સ્ટેશનની હદમાં ન્યુ અરીસ્ટા વેલ સ્પા અને એલિસબ્રીજ પોલીસ સ્ટેશનની હદમાં ધ લેમન આર્યુવેદિક સ્પામાં દેહવિક્રયનો કારોબાર ઝડપાયો હતો અને 13 યુવતીઓને છોડાવવામા આવી હતી. સૌથી નોંધનીય છે કે સ્પા અને મસાજ પાર્લરમાં એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ માત્ર દરોડાના નામે એકલદોલક કાર્યવાહી કરતી હોય છે. જ્યારે ડીસીપી ઝોન-7ની હદમાં આવતા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં દરોડાથી કાર્યવાહીથી એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની કામગીરી પર અનેક પ્રશ્નો ઉભા થયા છે.
જો કે હાલ જે સ્પામાં દરોડા પડ્યા છે. ત્યાં થોડા દિવસમાં ફરીથી મસાજના નામે કારોબાર શરૂ થવાની શક્યતા છે. કારણ કે માધુપુરામાં સુમેલ 11માં આવેલુ યક્ષીણી સ્પા પોલીસ અને વહીવટદારની મિલીભગતનુ સૌથી મોટુ ઉદાહરણ છે. આ સ્પામાં દરોડો પડતા 20 દિવસ સુધી સ્પા બંધ રહ્યું હતુ અને ફરીથી ઉચ્ચ અધિકારીઓ માટે કામ કરતા વિવેક નામના વહીવટદારના કહેવાથી શ્રવણ નામના સંચાલકે કારોબાર શરૂ કરી દીધો હતો. જે હાલ પણ બેરોકટોક ચાલે છે.
સૌથી નવાઇની વાત એ હતી વિવેક નામનો પોલીસનો મળતિયો સ્થાનિક પોલીસને પણ દાદ નથી આપતો અને સીધા ઉચ્ચ કક્ષાએ સંબધ ધરાવે છે. જેના કારણે શાહીબાગ સ્થિત એડવાન્સ પ્લાઝામાં હવે સ્પા પ્લાઝા બની ગયુ છે અને ત્યાં દરોડો પાડતા સ્થાનિક પોલીસ ફફડે છે અને અન્ય એજન્સી પણ હાથ ન દાઝે તે રીતે વર્તન કરે છે.










