![]()
– એરબસ કંપનીએ એ-320 વિમાનોને ઉડાડવા ના દીધા
– ભારતીય એરલાઈન્સે 338થી વધુ વિમાનોમાં સોફ્ટવેર-હાર્ડવેર અપડેટ કરાવ્યા, ફલાઈટોનું કેન્સલેશન ટળ્યું, 60થી 90 મિનિટ મોડી પડી
– ભારતમાં 80 ટકા વિમાનોમાં ખામી સુધારાઈ: ડીજીસીએ વૈશ્વિક સ્તરે સોમવાર સુધીમાં સ્થિતિ થાળે પડી જશે: એરબસ
નવી દિલ્હી : સોલાર રેડિએશનથી વિમાનોના ફ્લાઈટ કંટ્રોલ ડેટા કરપ્ટ થઈ જવાના જોખમના કારણે યુરોપીયન વિમાન કંપની એરબસે શુક્રવારે ૫૫ વર્ષમાં સૌથી મોટું રીકોલ કરતા તેના ૬,૫૦૦ એ૩૨૦ ફેમિલી વિમાનોમાં તાત્કાલિક સોફ્ટવેર-હાર્ડવેર અપડેટ કરવાનો આદેશ આપ્યો હતો, જેના પગલે ભારતમાં ઈન્ડિગો, એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસના કુલ ૩૩૮ એ૩૨૦ વિમાનોના શેડયુલ ખોરવાઈ ગયા હતા. આ સાથે દુનિયાભરમાં અનેક એરલાઈન્સ કંપનીઓ પર પણ તેની અસર થવાથી લાખો પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. એ૩૨૦ વિમાનોમાં સોફ્ટવેર-હાર્ડવેર રિપેરિંગની કામગીરી સોમવાર સુધીમાં પૂરી થશે.
યુરોપની વિમાન કંપની એરબસે શુક્રવારે તેના એ૩૨૦ ફેમિલી વિમાનો, જે વૈશ્વિક ફ્લાઈટ કાફલામાં લગભગ અડધાથી વધુનો હિસ્સો ધરાવે છે, તેમાં ફ્લાઈટ કંટ્રોલ કમ્પ્યુટર એલીવેટર ઐલરોન કમ્પ્યુટર (ઈએલએસી)માં સોફ્ટવેર અને હાર્ડવેર ખામી દૂર કરવા માટે ૬૫૦૦થી વધુ ફ્લાઈટ્સને ગ્રાઉન્ડેડ કરતાં લાખો પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ઈન્ડસ્ટ્રીના સૂત્રો મુજબ ૩૦ ઑક્ટોબરે જેટબ્લૂ એરવેઝની કેનકૂન-ન્યૂયોર્ક ફ્લાઈટ કંટ્રોલ ખરાબ થવાથી અચાનક પીચ-ડાઉન થતાં કેટલાક હજાર ફૂટ નીચે આવી ગઈ હતી, જેના પગલે અનેક પ્રવાસીઓને સામાન્ય ઈજા થઈ હતી અને એ-૩૨૦ વિમાનનું તામ્પામાં ઈમર્જન્સી લેન્ડિંગ કરાવવું પડયું હતું. પાછળથી તપાસમાં સોલર રેડિએશન સંબંધિત ડેટા કરપ્શનને મુખ્ય કારણ માનવામાં આવ્યું હતું.
એ-૩૨૦ વિમાનોમાં આ ખામી સામે આવતા એરબસે તાત્કાલિક તેના બધા જ એ૩૨૦ કાફલાના વિમાનોમાં સોફ્ટવેર અપડેટ અને હાર્ડવેર રિપેરિંગ માટેના નિર્દેશો આપ્યા હતા. ભારતમાં ઈન્ડિગો, એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસે શનિવારે તેમના એ-૩૨૦ વિમાનોમાં ખામી સુધારવાની કામગીરી હાથ ધરી હતી.
નાગરિક ઉડ્ડયન નિયમનકાર ડીજીસીએના આંકડા મુજબ ભારતની વિવિધ એરલાઈન્સના ૩૩૮થી વધુ વિમાનોમાં સોફ્ટવેર અપડેટ અને હાર્ડવેર રિપેરિંગની જરૂર હતી. સૂત્રોએ જણાવ્યું સિસ્ટમમાં આ ખામી સુધારવા માટે કોઈ એરલાઈને તેમની ફ્લાઈટ્સ રદ કરી નહોતી. જોકે, એર ઈન્ડિયા એક્સપ્રેસે ચાર ફ્લાઈટ કેન્સલ કરી હતી. વધુમાં વિવિધ એરપોર્ટ્સ પરથી ફ્લાઈટ્સ ૬૦થી ૯૦ મિનિટના વિલંબથી ચાલતી હતી, જેના કારણે હજારો પ્રવાસીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.
ખાનગી એરલાઈન ઈન્ડિગોએ મોડી સાંજ સુધીમાં જાહેરાત કરી હતી કે તેના માટે પ્રવાસીઓની સુરક્ષા વધુ મહત્વની છે. કંપનીએ શનિવારે એક જ દિવસમાં તેના એ-૩૨૦ના ૨૦૦ વિમાનોના કાફલામાંથી ૧૬૦થી વધુમાં સોફ્ટવેર અપડેટ અને હાર્ડવેર રિપેરિંગ કરી દીધા છે. બાકીના ૪૦ વિમાનોમાં પણ શનિવાર સુધીમાં જ સોફ્ટવેર અને હાર્ડવેર અપડેટની કામગીરી થઈ જશે. એર ઈન્ડિયાએ પણ કહ્યું કે, તેના ૨૫ વિમાનોમાં ખામી સુધારવાની જરૂર હતી, જે કામગીરી શનિવારે જ પૂરી કરી દેવાઈ છે. તેણે આ કામગીરી માટે કોઈ ફ્લાઈટ રદ કરી નથી. ડીજીસીએએ કહ્યું કે, ભારતમાં ૮૦ ટકા વિમાનોમાં સોફ્ટવેર અને હાર્ડવેરમાં સુધારો થઈ ગયો છે.
એરબસ દ્વારા ૫૫ વર્ષમાં તેના વિમાનોના સૌથી મોટા રિકોલના કારણે દુનિયાભરની મોટી એરલાઈન કંપનીઓએ તેમની ફ્લાઈટ્સ રદ કરવી પડી હતી, જેમાં ઓસ્ટ્રેલિયાની જેટસ્ટાર એરવે, દક્ષિણ કોરિયાની કોરિયન એર, જાપાનની એએનએ હોલ્ડિંગ, યુનાઈટેડ એરલાઈન્સ, યુરોપની વિવિધ એરલાઈન્સનો સમાવેશ થાય છે. એરબસે જણાવ્યું હતું કે તેના એ-૩૨૦ ફેમિલીના ૧૧,૩૦૦થી વધુ વિમાન દુનિયાભરમાં ઓપરેશનમાં છે, તેમાંથી ૬,૪૦૦ એ-૩૨૦ મોડેલ છે, જેમાં લગભગ ૬,૫૦૦ વિમાનોમાં તુરંત સોફ્ટવેરમાં પરિવર્તનની જરૂર છે.










