![]()
ચિલોડા હાઇવે ઉપર વધુ એક અકસ્માત
કોઇ આડશ મુક્યા વગર કે રિફલેક્ટર લગાડયા વગર બ્રિજ પર જ ટ્રક મુકી દેવાયાની પોલીસ સમક્ષ ફરિયાદ
ગાંધીનગર : ટ્રાફિકથી ધમધમતા હાઇવે પર કોઇ પ્રકારની આડશ મુક્યા વગર કે
રિફલેક્ટર લગાડયા વગર બ્રિજ પર મુકી દેવામાં આવેલી ટ્રકની પાછળ ડબલ સવારી બાઇક
ઘુસી જવાથી ચાલક યુવાનનું મૃત્યુ થયાની ફરિયાદ પોલીસ સમક્ષ નોંધાવવામાં આવી છે.
ગાંધીનગર નજીક ચિલોડાથી નાના ચિલોડા જવાના રસ્તે વલાદ ગામ પાસે બપોરના સમયે
ઉપરોક્ત બનાવ બન્યો હતો. જેમાં મૃતકના મિત્રને ઇજા થતાં પોલીસે તપાસ શરૃ કરી છે.
અકસ્માતના આ બનાવ સંબંધમાં ગાંધીનગરમાં સેક્ટર ૩ ન્યુમાં
પ્લોટ નંબર ૨૫૮-૨માં રહીને હોસ્ટેલ ચલાવવાની સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી
કરતાં મુળ બનાસકાંઠાના થરાદ તાલુકાના વતની એવા કુલદિપસિંહ ઉત્તમસિંહ ચૌહાણે ડભોડા
પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ બનાવમાં તેના મિત્ર અને હોસ્ટેલમાં રહેતા આનંદ
અમીરામ પુરોહિતનું મડત્યુ થયુ હતું. ફરિયાદમાં જણાવવામાં આવ્યા પ્રમાણે ગત રોજ
મૃતકને કામ હોવાથી ફરિયાદીનું બાઇક લઇને બન્ને મિત્રો નીકળ્યા હતાં. ત્યારે આનંદ
બાઇક ચલાવી રહ્યો હતો અને ફરિયાદી પાછળ બેઠો હતો. દરમિયાન બપોરે દોઢ વાગ્યાના
અરસામાં તેઓ મોટા ચિલોડાથી નાના ચિલોડા તરફ જઇ રહ્યા હતાં. ત્યારે વલાદ ગામ પાસે
હાઇવે પરના બ્રિજ પર બંધ હાલતમાં મુકી દેવામાં આવેલી ટ્રકની પાછળ બાઇક અથડાઇ પડતાં
બન્ને મિત્રો ઉછળી પડયા હતાં. ટ્રકના લોખંડ સાથે ટકરાવાથી માથામાં ઇજા થવાથી આનંદ
પુરોહિતનું મૃત્યુ થયુ હતું. જ્યારે ફરિયાદી કુલદિપસિંહને માથામાં તથા ચહેરાના
ભાગે ફ્રેક્ચર સહિત ઇજા પહોંચી હતી. પોલીસે આ બનાવ સંબંધે ટ્રક ચાલક વિરૃદ્ધ ગુનો
નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.










