Indigo Crisis : દેશના એરપોર્ટો પર છેલ્લા ત્રણ દિવસથી એરલાઈન્સ કંપની ઈન્ડિગોની 2000થી વધુ ફ્લાઈટો રદ થયા બાદ કેન્દ્ર સરકાર એક્શમાં આવી ગઈ છે. એટલું જ નહીં સુપ્રીમ કોર્ટમાં પણ પીઆઈએલ કરવામાં આવી છે. અનેક એરપોર્ટ પરના ફ્લાઈટ રદનો સામનો કરી રહેલા મુસાફરો કંપની પર રોષ ઠાલવી હોબાળો મચાવી રહ્યા છે, જ્યારે અનેક મુસાફરો તાત્કાલીક રિફંડની માંગ કરી રહ્યા છે, જેને લઈને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તમામ પેન્ડિંગ મુસાફરોને રવિવાર રાત્રે 8.00 વાગ્યા સુધીમાં રિફંડ આપવાનો ઈન્ડિગોને આદેશ આપ્યો છે. બીજીતરફ સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજીમાં, એરપોર્ટ પર ફસાયેલા મુસાફરોને અન્ય એરલાઈન્સ અથવા ટ્રેનો દ્વારા મફત વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની વિનંતી કરવામાં આવી છે.
48 કલાકમાં લગેજ આપી દો : મંત્રાલયનો આદેશ
મંત્રાલયે ઈન્ડિગોને પેસેન્જરના લગેજ પણ 48 કલાકમાં પરત આપવાનો તેમજ અન્ય એરલાઈન્સ કંપનીઓને નિર્ધારીત ભાડા કરતા વધુ ભાડું ન લેવાનો પણ નિર્દેશ આપ્યો છે. જો આદેશનું પાલન કરવામાં નહીં આવે તો તાત્કાલીક એક્શલેવાની પણ ચેતવણી અપાઈ છે. શુક્રવાર બાદ શનિવારે પણ ઈન્ડિગોની અનેક ફ્લાઈટો રદ થઈ હતી, જેને પગલે મુસાફરોએ રિફંડ અને સામાન ન મળવાની ફરિયાદો કરી હતી.

ઈન્ડિગો મામલે સુપ્રીમ કોર્ટમાં PIL
ઈન્ડિગો એરલાઇન્સમાં ચાલી રહેલા ભયંકર ઑપરેશનલ સંકટને લઈને સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી છે. ‘ઇન્ડિગો ઓલ પેસેન્જર એન્ડ અનધર’ જૂથ દ્વારા દાખલ કરાયેલી આ અરજીમાં આ પરિસ્થિતિને આકાશમાં ‘માનવતાવાદી સંકટ’ ગણાવીને તાત્કાલિક ન્યાયિક હસ્તક્ષેપની માંગ કરવામાં આવી છે. અરજીમાં જણાવાયું છે કે, ઈન્ડિગોએ તાજેતરમાં 1000થી વધુ ફ્લાઇટ્સ રદ કરી છે, જેના કારણે હજારો મુસાફરો ફસાયા છે. PIL દાવો કરે છે કે, આના કારણે નાગરિકોના બંધારણીય અધિકારો (કલમ-21) નું ગંભીર ઉલ્લંઘન થયું છે, કારણ કે એરપોર્ટ્સ પર નવજાત શિશુઓ, વરિષ્ઠ નાગરિકો અને બીમાર દર્દીઓને ખોરાક, પાણી કે આરામની જગ્યા જેવી મૂળભૂત સુવિધાઓ પણ મળી નથી. ઇન્ડિગોએ આ અવ્યવસ્થા માટે પાયલોટના નવા FDTL નિયમો ના અમલીકરણ દરમિયાન થયેલી આયોજનની ભૂલોને જવાબદાર ઠેરવી છે, પરંતુ અરજીમાં DGCA પર પણ પૂરતી દેખરેખ ન રાખવાનો આરોપ છે. PILમાં સુપ્રીમ કોર્ટને નિયમ બંધ કરાવવા, ફસાયેલા મુસાફરો માટે અન્ય એરલાઇન્સ અથવા ટ્રેનો દ્વારા મફત વૈકલ્પિક વ્યવસ્થા કરવાનો આદેશ આપવા અને DGCA પાસેથી રિપોર્ટ માંગવાની વિનંતી કરવામાં આવી છે.

એરપોર્ટે પર અફરાતફરી, ચાર દિવસમાં 2000 ફ્લાઈટ કેન્સલ
રિપોર્ટ મુજબ મુંબઈ એરપોર્ટ પર ચાર દિવસથી લગેજ ન અપાતા મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. આ ઉપરાંત બેંગલુરુ, કોલકાતા સહિત અનેક એરપોર્ટો પર મુસાફરોને ભારે ભીડ અને લાંબી લાઈનો જોવા મળી રહી છે. બીજીતરફ પાંચ દિવસે પણ ઈન્ડિગોની ઓપરેશન ખામી યથાવત્ છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા મુજબ, દેશના ચાર મોટા એરપોર્ટ દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને બેંગલુરુ સહિત ઘણાં શહેરોમાં આજે ઈન્ડિગોની 400થી વધુ ફ્લાઈટો રદ થઈ છે. છેલ્લા ચાર દિવસમાં 2000થી વધુ ફ્લાઈટો કેન્સલ કરી દેવામાં આવી છે.

DGCAના નવા નિયમને કારણે ઈન્ડિગોની વધી મુશ્કેલી
મંત્રાલયે દેશની તમામ એરલાઈન્સ, ખાસ કરીને ઈન્ડિગોને ‘ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન’ (FDTL) લાગુ કરવામાં 10 ફેબ્રુઆરી-2026 સુધી હાલ પુરતી રાહત આપી છે. અઠવાડિયામાં એક દિવસ આરામ આપવાના બદલે કોઈપણ રજા ન આપવાનો નિર્ણય પરત ખેંચી લીધો છે. મીડિયા રિપોર્ટ મુજબ, FDTL માપદંડોના બીજા તબક્કાનો અમલ કરવામાં આવ્યા બાદ ઇન્ડિગો ક્રૂ મેમ્બરની તીવ્ર અછતનો સામનો કરી રહી છે. આ કારણે ફ્લાઇટો રદ અને વિલંબ થઈ રહ્યો છે.
આ પણ વાંચો : ઇન્ડિગો સંકટ વચ્ચે સરકારનો મોટો આદેશ, બેફામ ભાડા વસૂલતી એરલાઇન્સ પર લેવાશે એક્શન
FDTLનો બીજો તબક્કો પહેલી નવેમ્બરથી લાગુ
ઉલ્લેખનીય છે કે, ‘નવા એફડીટીએલ નિયમનો પહેલો તબક્કો જુલાઈથી લાગુ થયો છે, જ્યારે બીજો તબક્કો પહેલી નવેમ્બરથી લાગુ થયો છે, જેમાં રાત્રે છ ફ્લાઇટનું લેન્ડિંગ કરાતું હતું, જે બે કરી દેવાઈ છે. વાસ્તવમાં આ નિયમો માર્ચ-2024 થવાના હતા, જોકે ઇન્ડિગો સહિતની એરલાઇન્સોએ વધારાના ક્રૂ મેમ્બરની જરૂરિયાત હોવાનું કહી તબક્કાવાર નિયમનો અમલ કરવાની માંગ કરી હતી.
આ પણ વાંચો : ઍરપોર્ટ પર વિમાનોના ખડકલા સર્જાયા, આખરે ઇન્ડિગોની સિસ્ટમ કેવી રીતે ફેલ થઈ? જાણો વિવાદ










