![]()
Bharuch Boat Capsizes news: ભરૂચના જંબુસરના આસરસા ગામ નજીક શ્રમજીવીઓની બોટ દરિયામાં પલટી જતાં દોડધામ મચી છે. ONGCના ઓઇલ સર્વે માટે બોટ લઈ 25થી વધુ કામદારો જઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક જ બોટે દરિયામાં જળસમાધિ લઈ લીધી હતી.
એકનું મોત, એક લાપતા તો અન્ય તમામનો બચાવ
શનિવારની સમી સાંજે બનેલી આ ગંભીર દુર્ઘટનામાં રોહિત ગણપત મકવાણા નામના યુવાનનું મોત થયું છે. જ્યારે એક કામદાર નરેશ અનોપ રાઠોડ લાપતા થયો છે. બાકીના શ્રમજીવીઓને બચાવી તાત્કાલિક તબીબી સારવાર માટે જંબુસર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
કયા કારણોસર બોટ દરિયામાં પલટી?
પ્રાથમિક વિગતો અનુસાર દરિયામાં ભરતી આવતા ઊંચા મોજાના કારણે બોટ પલટી મારી ગઈ હતી. હાલ લાપતા કામદાર નરેશ અનોપ રાઠોડને શોધવા સ્થાનિક માછીમારો અને બચાવ દળની મદદ લઈ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
ધારાસભ્ય અને મામલતદાર હોસ્પિટલ પહોચ્યાં
મામલતદાર વસાવા અને ધારાસભ્ય ડી.કે. સ્વામી દુર્ઘટનાની જાણ થતાં જ હોસ્પિટલ દોડી આવ્યા હતા. કામદારો અને ONGCના સંબંધિત અધિકારીઓ પાસે ઘટનાની વિગતો જાણી હતી. ઘટનાની ગંભીરતા જોતા પોલીસે પણ તપાસ શરૂ કરી છે. બીજી તરફ હોસ્પિટલમાં દાખલ તમામ શ્રમિકોને યોગ્ય સારવાર મળે તે પણ સુનિશ્વિત કરવામાં આવ્યું છે.










