![]()
– સુરેન્દ્રનગર મનપાની ઘોર બેદરકારી
– ખોદકામ બાદ મટીરીયલ રસ્તા વચ્ચે છોડી દેવાયું : વાહન ચાલકોને અકસ્માતનો ભય
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર મનપા તંત્રએ કુંથુનાથ દેરાસર ચોકમાં ખાડો ખોદ્યા બાદ બુરાણ નહીં કરતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. રસ્તા પર ખોદકામ બાદ મટીરીયલ રસ્તા વચ્ચે છોડી દેવાતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સેવાઇ રહ્યો છે.
સુરેન્દ્રનગરના નવા જંક્શન રોડ પર આવેલા કુંથુનાથ દેરાસર ચોકમાં મનપા તંત્ર દ્વારા પાણીની પાઇપલાઇનના વાલ્વ રિપેરિંગ માટે રસ્તાનું ખોદકામ કરવામાં આવ્યું હતું. જોકે, કામગીરી બાદ ખોદેલા રસ્તાનું પથ્થર સહિતનું મટીરીયલ રસ્તા વચ્ચે જ છોડી દેવાતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ચોક વચ્ચે જ ખોદકામ કરાયું હોવાથી ચારેય તરફથી આવતા વાહનોને કારણે ટ્રાફિક જામની સમસ્યા સતત સર્જાઈ રહી છે. ઉપરાંત, મટીરીયલને કારણે અકસ્માત થવાનો પણ ભય સેવાઈ રહ્યો છે. એક જાગૃત નાગરિકે આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. સ્થાનિકોએ મનપા તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય રીતે બુરાણ કરીને રસ્તાનું રિપેરિંગ કરવામાં આવે તેવી માંગણી કરી છે.










