![]()
Vadodara : વડોદરામાં ન્યુ વી.આઇ.પી.રોડ અર્થ આઇકોન બિલ્ડિંગમાં આવેલી સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની બ્રાંચમાં દાગીનાનું મૂલ્યાંકન કરી અહેવાલ આપનાર સોનીએ બે ગ્રાહકો સાથે મળી ખોટા દાગીનાને સાચા હોવાનો અહેવાલ આપતા બેન્ક દ્વારા તેઓને 13.53 લાખની લોન આપવામાં આવી હતી. જે અંગે ભાંડો ફૂટતા વેલ્યૂઅર અને બે એકાઉન્ટ હોલ્ડર સામે વારસિયા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
ન્યુ કારેલીબાગ પંચમ બ્લોસમ સિદ્ધનાથ પ્લેનેટની બાજુમાં રહેતા સૌરભ દિનેશપ્રસાદ શાહ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની ન્યુ વી.આઇ.પી.રોડ બ્રાંચમાં મેનેજર તરીકે નોકરી કરે છે. તેમણે વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છેકે, અમારી શાખા દ્વારા ગ્રાહકોને તેમની જરૃરિયાત મુજબ લોનની સુવિધા પૂરી પાડવામાં આવે છે. બ્રાંચમાં એકાઉન્ટ ધરાવતા ગ્રાહકો માટે ગોલ્ડ લોન યોજના છે. અમારી બ્રાંચમાં દિલીપકુમાર નટવરભાઇ સોની (રહે. પિતૃછાયા ગામ કૂવા પાસે, છાણી) ની મૂલ્યાંકનકાર તરીકે નિમણૂંક થઇ હતી. તેઓની દુકાન પટોડિયા પોળમાં શ્રીનાથજી ચેમ્બરમાં શ્રદ્ધા જ્વેલર્સ નામની દુકાન છે. ગત 13-08-2019 ના રોજ બેન્કની શાખામાં જીજ્ઞોશ હસમુખભાઇ સોની (રહે. આશિષ સોસાયટી, છાણી)એ એકાઉન્ટ ખોલાવ્યું હતું. તેમણે 519.450 ગ્રામ વજનના કિંમત રૂપિયા 16.84 લાખના દાગીના ગીરવે મૂકવા માટે આવ્યા હતા. દાગીનાની કિંમત ચકાસવા માટે દિલીપકુમાર સોનીને આપ્યા હતા. તેમણે આપેલા અહેવાલના આધારે દાગીનાની કિંમત 16.84 લાખ થઇ હતી. તેની સામે તેઓને 9.88 લાખની લોન આપવામાં આવી હતી.
ત્યારબાદ તા.26-09-2019ના રોજ રફીક અસરફભાઇ મલેકે (રહે. કુંપાડ રોડ જલારામ તલાવડી ગામ, જંબુસર) એકાઉન્ટ ખોલાવ્યું હતું. તેમણે 3.65 લાખની લોનની માગણી કરી હતી. તેમણે 160.400 ગ્રામ દાગીના ગીરવે મૂક્યા હતા. દિલીપકુમારે આપેલા અહેવાલના આધારે દાગીનાની કિંમત 5.24 લાખ થઇ હતી. જેથી,તેઓને 3.65 લાખની લોન આપવામાં આવી હતી. લોન યોજના મુજબ એક વર્ષની મુદ્દત પૂરી થતા સોનાના ફરીથી મૂલ્યાંકન માટે જીજ્ઞોશ સોની તથા રફીક મલેકને ફરીથી હાજર થવા નોટિસ અને રિમાઇન્ડર આપવામાં આવ્યા હતા. પરંતુ, તેઓ હાજર રહેતા ન હતા. ત્યારબાદ એક કમિટીની રચના કરી હતી. જેમાં બેન્ક અધિકારીઓ, ગોલ્ડ મૂલ્યાંકનકાર સંદિપ એચ.સોની તથા દિલીપ સોની હતા. વીડિયોગ્રાફી કરી સોનાના દાગીનાના પેકેટ ખોલી ચેક કરતા સંદિપ સોનીએ દાગીના નકલીહોવાનું જણાવ્યું હતું. આમ, દિલીપ સોનીએ ગ્રાહકો જીજ્ઞોશ તથા રફીક સાથે મળી દાગીના ખોટા હોવાનું જાણવા છતાં દાગીના શુદ્ધ હોવાનો અહેવાલ આપ્યો હતો.










