![]()
Vadodara : વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોરવા દશામાં મંદિર સામે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નવા મકાનો બનાવવા અંગે આજે ત્રીજા દિવસે પણ કાચા પાકા અગાઉના 25 જેટલા મકાનો પાલિકાની દબાણ શાખાએ તોડી પાડ્યા હતા. આમ હવે હાઉસિંગ બોર્ડની જગ્યા ખુલ્લી થતા મકાનો બનાવવાનો માર્ગ મોકળો થયો હતો.
ઉલ્લેખનીય છે કે શહેરના પશ્ચિમ વિસ્તાર ગોરવા ખાતે આવેલા દશામાં મંદિરની સામે છેલ્લા કેટલાય વખતથી ગેરકાયદે 300 જેટલા ઝૂંપડા અને કાચા પાકા મકાનોમાં શ્રમજીવીઓ રહેતા આવ્યા હતા. પરંતુ આ જગ્યાએ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નવા મકાનો બનાવવાની કાર્યવાહી શરૂ કરવાના ભાગરૂપે પાલિકા તંત્રની દબાણ શાખા પાસે મદદ માગવામાં આવી હતી. પરિણામે છેલ્લા બે દિવસમાં 250 જેટલા ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા હતા.
ત્યારબાદ બાકી રહેલા કાચા પાકા 30 જેટલા મકાનો પર પાલિકાની દબાણ શાખાનું બુલડોઝર આજે ફરી વળ્યું હતું. પરિણામે આ જમીન ખુલ્લી થતા હવે હાઉસિંગ બોર્ડના મકાનો બનાવવાનો માર્ગ ખુલ્લો થયો છે. આ કાર્યવાહીમાં પરિણામે પાલિકાની દબાણ શાખાની ટીમ સાથે સ્થાનિક પોલીસ સ્ટેશનના કાફલા સહિત એસઆરપીની ટીમ તથા ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ તથા વીજ નિગમના સ્ટાફ સાથે ઘટના સ્થળે કાર્યવાહી દરમિયાન હાજર રહ્યો હતો.










