![]()
Shashi Tharoor on Bangladesh: ભારતમાં અનેક અગ્રણી વ્યક્તિઓએ બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા પર ચિંતા વ્યક્ત કરી છે. કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે પણ પાડોશી દેશમાં મીડિયા પર થઈ રહેલા હુમલાઓ પર નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘મીડિયા સ્વતંત્રતા પર હુમલો નથી, પરંતુ દેશના બહુલતાવાદ પર સીધો હુમલો છે. લોકોનો અવાજ મતદાન પેટી દ્વારા સાંભળવો જોઈએ, હિંસા અને તોડફોડ દ્વારા નહીં.’
થરૂરની વચગાળાની સરકારને સલાહ
કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકારને હિંસાનો અંત લાવવા માટે કેટલીક સલાહ આપી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, ‘બાંગ્લાદેશમાંથી મળી રહેલા અહેવાલોથી હું ચિંતિત છું. પ્રોથોમ આલો અને ધ ડેઇલી સ્ટારના કાર્યાલયો પર ટારગેટેડ હુમલાઓ ફક્ત બે સંસ્થાઓ પર જ નહીં, પરંતુ પ્રેસ સ્વતંત્રતા અને બહુલતાવાદ પર પણ હુમલો છે. હું સંપાદક મહફુઝ અનમ અને અન્ય હિંમતવાન પત્રકારોની સલામતી અંગે ખૂબ ચિંતિત છું.’
ખુલના અને રાજશાહીમાં ભારતીય સહાયક ઉચ્ચાયોગ બંધ કરવા અંગે શશિ થરૂરે પોતાના વિચારો વ્યક્ત કર્યા. તેમણે કહ્યું, ‘વધતા સુરક્ષા જોખમોને કારણે ખુલના અને રાજશાહીમાં ભારતીય સહાયક ઉચ્ચાયોગ બંધ કરવા એ એક મોટો આંચકો છે. આની સીધી અસર વિદ્યાર્થીઓ, દર્દીઓ અને ગરીબ પરિવારો પર પડશે. 12મી ફેબ્રુઆરી 2026ના રોજ પ્રસ્તાવિત ચૂંટણીઓ પહેલા હિંસા અને અસહિષ્ણુતાનું આટલું વાતાવરણ લોકશાહી પ્રક્રિયા માટે ખતરનાક છે.’
આ પણ વાંચો: ‘મને લોહી નીકળવા લાગ્યું, દીકરી આઘાતમાં..’, દિલ્હી એરપોર્ટ પર પાઈલટે યાત્રીને લોહીલુહાણ કરી નાખ્યો
આ સમસ્યાને કેવી રીતે દૂર કરવી તે અંગે બાંગ્લાદેશને સલાહ આપતા શશિ થરૂરે લખ્યું, ‘સ્થિર અને સમૃદ્ધ પડોશી વિસ્તાર માટે, વચગાળાની સરકારે ઘણી બાબતો સુનિશ્ચિત કરવી જોઈએ. આમાં પ્રથમ પત્રકારોની સુરક્ષા છે. તેમની ઓફિસોમાં આગ લાગી રહી હોય ત્યારે પત્રકારોને પોતાનો જીવ બચાવવા માટે ગભરાટમાં સંદેશા પોસ્ટ કરવાની ફરજ પાડવી જોઈએ નહીં. કોઈપણ સંજોગોમાં ભીડને હાવી થવા દેવી જોઈએ નહીં.’
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે શેખ હસીનાને સત્તા પરથી દૂર કરવામાં આવ્યા ત્યારથી બાંગ્લાદેશમાં હીંસા ફાટી છે. જોકે, પછી આગ થોડી ઠંડી પડી, પરંતુ એક વિદ્યાર્થી નેતાની હત્યાથી પરિસ્થિતિ ફરી વણસી ગઈ છે. કટ્ટરપંથીઓએ શરૂઆતમાં આ ઘટના માટે ભારતને દોષી ઠેરવ્યું અને પછી ભારતીય રાજદ્વારી મિશનને નિશાન બનાવ્યા. આ જ કટ્ટરપંથીઓએ એક હિન્દુ યુવાનને માર મારીને હત્યા કરી, તેના શરીરને જાહેરમાં ઝાડ પર લટકાવી દીધું અને તેને આગ લગાવી દીધી.










