કાળઝાળ ગરમીમાં આગના બનાવોમાં વધારો થતાં કોર્પોરેશનની ફાયર
શાખા દ્વારા
સરકારી ઇમારતોની સાથે શૈક્ષણિક અને સામાજિક સંકુલોને પણ નોટિસ ઃ એનઓસી નહીં લે તો બિલ્ડીંગ સીલ કરાશે
ગાંધીનગર : ઉનાળા દરમિયાન આગની ઘટનાઓ વધતી હોય છે ત્યારે ગાંધીનગરમાં
સરકારી ઇમારતો સહિત ૫૦ જેટલી બિલ્ડીંગો પાસે એનઓસી નહીં હોવાથી મહાનગરપાલિકાની
ફાયર શાખા દ્વારા તાત્કાલિક અસરથી એનઓસી રીન્યુ કરી દેવા માટે નોટિસ આપવામાં આવી
છે અને જો આગામી દિવસમાં એનઓસી રીન્યુ નહીં કરવામાં આવે તો આ ઈમારતોને સીલ કરી
દેવાની પણ ચીમકી આપવામાં આવી છે.
રાજ્યમાં ઇમારતોમાં આગની ઘટનાઓ નોંધપાત્ર રીતે વધી રહી છે
ત્યારે પાટનગર ગાંધીનગર શહેરમાં પણ આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે
મહાનગરપાલિકાની ફાયર શાખા દ્વારા અવારનવાર બિલ્ડીંગોમાં તપાસ કરવામાં આવી રહી છે
અને આવી ઇમારતોને તાત્કાલિક અસરથી ફાયર સેફ્ટીની સુવિધાઓ ઉભી કરીને એનઓસી મેળવી
લેવા માટે તાકીદ કરવામાં આવે છે પરંતુ સરકારના વિભાગો જ તેમાં ઉણા ઉતરી રહ્યા છે.
ફાયર સેફટી વગરની અને ફાયર સેફ્ટી લીધી હોય તેમ છતાં તેને રીન્યુ નહીં કરનાર ૫૦
જેટલા એકમોને ફાયર બ્રિગેડ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. જેમાં સેક્ટર ૧૦માં
આવેલી મુખ્ય નગર નિયોજકની કચેરી ઉપરાંત સેક્ટર ૧૭માં આવેલી જિલ્લા પંચાયત તેમજ
માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરીનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ગાંધીનગર શહેરમાં
આવેલી સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓના સંકુલનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
મહાનગરપાલિકા દ્વારા આ તમામ એકમોને તાત્કાલિક અસરથી ફાયર
એનઓસી રીન્યુ કરાવી દેવા માટે તાકીદ કરવામાં આવી છે અને જો આગામી દિવસમાં એનઓસી
રીન્યુ નહીં કરવામાં આવે તો આવા એકમોને સીલ કરી દેવા માટે પણ તાકીદ કરવામાં આવી
છે. આગામી દિવસમાં પણ આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે અને જે એકમો પાસે ફાયર એનઓસી
નહીં હોય તેને શોધીને નોટિસ આપવામાં આવશે.
ફાયર સેફટી મામલે નોટિસ આપીને સંતોષ માનતું તંત્ર
રાજકોટમાં આગની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં આગની દ્રષ્ટિએ
જોખમી અને લોકોની વધુ અવરજવર વાળા એકમોની તપાસ કરવામાં આવી હતી. જેમાં ગાંધીનગર
મહાનગરપાલિકા વિસ્તારમાં શોપિંગ કોમ્પ્લેક્સ મોલ મલ્ટિપ્લેક્સ હોટલ સહિતના ૨૭ એકમો
ફાયર સેફટી મામલે જોખમી જણાયા હતા તો કેટલાક વિસ્તારમાં ભોયરામાં પણ કામગીરી
કરવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું. જોકે હજી સુધી આવા એકમો સામે મહાનગરપાલિકા
દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.