![]()
અમદાવાદ,સોમવાર,22 ડિસેમ્બર,2025
ગત ચોમાસામા નારોલ અને ઘીકાંટા વિસ્તારમાં બનેલી બે અલગ
ઘટનાઓમાં દંપત્તિ સહિત ત્રણ લોકોના મોત
થયા હતા. જેને પગલે મ્યુનિસિપલ કમિશનરે સોંપેલી વિજિલન્સ તપાસના પ્રાથમિક
રીપોર્ટના આધારે લાઈટ વિભાગના ડેપ્યુટી સીટી ઈજનેરથી આસિસ્ટન્ટ ઈજનેર સુધીના ૪૧
અધિકારીઓને સામૂહિક શોકોઝ નોટિસ આપવા સુચના આપી છે.લાઈટ વિભાગને લગતી ૧૧ મહિનામાં
કુલ ૧.૩૩ લાખ ફરિયાદ લોકો દ્વારા કરવામા આવી છે.હાલમા પણ શહેરના અનેક વિસ્તારોમાં
સાંજ પડતા જ સ્ટ્રીટલાઈટ બંધ હાલતમા જોવા મળે છે.જેને લઈ જે તે ઝોનના પેટા
કોન્ટ્રાકટરોને નોટિસ આપવા કમિશનરે કહયુ છે.
કોર્પોરેશનના લાઈટ વિભાગનો વહીવટ છેલ્લા બે વર્ષથી ખાડે
ગયેલો છે.ચોમાસામા ત્રણ લોકોના મોત પછી સોંપાયેલી વિજિલન્સ તપાસના પ્રાથમિક અહેવાલ
મુજબ, શહેરમા
અનેક સ્પોટ ઉપર વીજવાયર ખુલ્લા અથવા તો છુટા જોવા મળી રહયા છે.કોઈ સ્થળે વીજ વાયર
કપાયેલી હાલતમા પણ જોવા મળી રહયા છે.કોર્પોરેશન દ્વારા સીટલુમને આપવામા આવેલો
સ્ટ્રીટલાઈટના ઓપરેશન અને મેઈન્ટેનન્સનો કોન્ટ્રાકટ પુરો થયા પછી ચાર વખત ટેન્ડર
કરાયા છે.છતાં કોઈ ચોકકસ કોન્ટ્રાકટર મળતા નહી હોવાથી તમામ ૪૮ વોર્ડમાં પેટા
કોન્ટ્રાકટરોની મદદથી સ્ટ્રીટલાઈટ ચાલુ રાખવા પ્રયાસ કરાઈ રહયા છે.કમિશનરે આ અગાઉ
લાઈટ ખાતાના એ સમયના એડીશનલ સીટી ઈજનેરને શોકોઝ આપી હતી.જે પછી થોડા સમય પછી તેમની
બદલી કરાઈ હતી.લાઈટ ખાતામા અધિકારી બદલાયા પછી પણ શહેરના અનેક વિસ્તારમા અંધારપટ
જોવા મળે છે. આ કારણથી મ્યુ.કમિશનરે લાઈટ ખાતાના ૪૧ અધિકારીઓને શોકોઝ ફટકારી
છે.હાલના વિભાગના એડીશનલ સીટી ઈજનેરને પણ શોકોઝ અપાય એવી સંભાવના છે.










