![]()
– શહેરમાં 100 પોલીસ કર્મચારીના કાફલા સાથે મહાનગરપાલિકાનું સૌથી મોટું ડિમોલિશન
– વેપારીઓ અને તંત્ર વચ્ચેની લાંબા સમયની કાયદાકીય ખેંચતાણ બાદ મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યા હતો, કોર્ટની મુદત પૂર્ણ થતા જ સોમવારે મોડી સાંજે ચિઠ્ઠી ઉછાળી ડ્રો કરી શેડ ફાળવ્યાની નોટિસો આપ્યા બાદ રાતથી સવાર સુધી દુકાનો ખાલી કરાવી : મંગળવારે સવારે 7 વાગ્યો ૯ જેસીબી સાથે દુકાનો જમીનદોસ્ત કરવાનું શરૂ કરાયું
નડિયાદ : નડિયાદ નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં રૂપાંતર થયા બાદ પ્રશાસન દ્વારા મંગળવારે શહેરના ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. હાઇકોર્ટની મુદ્દત પૂર્ણ થતાં જ લાગ જોઈને બેઠેલા તંત્રએ આક્રમક વલણ અપનાવી ૯ જેસીબીે અને ૧૦૦ જેટલા પોલીસ કર્મચારીઓના કાફલા સાથે સ્ટેશન રોડ પર સ્થિત સરદાર ભુવન કોમ્પ્લેક્સને તોડી પાડવાની કામગીરી શરૂ કરી હતી.
વર્ષ ૧૯૭૮માં બનેલું આ બિલ્ડિંગ લાંબા સમયથી જર્જરિત હોવાથી સુરક્ષાના કારણોસર તેને હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, આ સમગ્ર કાર્યવાહી વચ્ચે હાઇકોર્ટે અદાલતના આદેશનો અનાદર કરવા બદલ મ્યુનિસિપલ કમિશનર અને બે ડેપ્યુટી કમિશનરોને કારણ દર્શક નોટિસ ફટકારતા વહીવટી આલમમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. નડિયાદના મુખ્ય વિસ્તાર એવા સરદાર સ્ટેચ્યુ પાસે આવેલા સરદાર ભુવનનું નિર્માણ વર્ષ ૧૯૭૮માં પાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં કુલ ૪૬ જેટલી દુકાનો આવેલી હતી. આ બિલ્ડિંગ અત્યંત ભયજનક સ્થિતિમાં હોવાથી મનપા દ્વારા અગાઉ અનેકવાર વેપારીઓને દુકાનો ખાલી કરવા નોટિસો આપવામાં આવી હતી. વેપારીઓ અને તંત્ર વચ્ચે લાંબા સમય સુધી ચાલેલી કાયદાકીય ખેંચતાણ બાદ મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. અંતે કોર્ટે મનપા અને દુકાનદારોને વચ્ચેનો રસ્તો કાઢવા માટે મુદત આપી હતી.
બાદમાં મનપાએ કશીભાઈ પાર્ક પાસે પતરાના શેડ તૈયાર કર્યા હતા અને ૨૨ ડિસેમ્બરે મુદ્દત પૂર્ણ થતાં જ આજે ૨૩ ડિસેમ્બરે તકની રાહ જોઈ બેઠેલા મનપાના અધિકારીઓએ સોમવારે મોડી સાંજે દુકાનદારોને ચિઠ્ઠી ઉછાળી ડ્રો કરી શેડ ફાળવ્યાની નોટિસો આપ્યા બાદ રાતથી સવાર સુધી તમામ દુકાનો ખાલી કરવાની સવારે ૭ વાગે જ જેસીબી સાથે ડે. કમિશ્નર આવી પહોંચ્યા હતા. જ્યાં આ દુકાનો જમીનદોસ્ત કરવાનું શરૂ કરી દેવાયું હતું. બપોર સુધી તો ઉપરના માળની દુકાનો પણ તોડી નાખવામાં આવી હતી. ત્યારે અચાનક ભારે કાટમાળ પડવાને કારણે એક વીજ પોલ ધરાશાયી થયો હતો. સદનસીબે વીજ લાઈન અગાઉથી જ બંધ હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આ ડીમોલિશનના કારણે નડિયાદના મુખ્ય બજારમાં ટ્રાફિક અને જનજીવન પર વ્યાપક અસર પડી હતી. હવે આ ખાલી થયેલી કિંમતી જમીનનો ઉપયોગ શહેરના આધુનિકીકરણ કે ટ્રાફિક સમસ્યા નિવારવા માટે કરવામાં આવશે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.
દુકાનદારોને વૈક્લ્પિક વ્યવસ્થા કરી આપી છે મનપા કમિશ્નર
આ અંગે મ્યુનિસિપલ કમિશનર જી.એચ. સોલંકીએ જણાવ્યું હતું કે, સમગ્ર બિલ્ડિંગ જર્જરિત હોવાથી તેને તોડવું અનિવાર્ય હતું. અદાલતના આદેશ મુજબ આ કામગીરી કરવામાં આવી રહી છે અને અસરગ્રસ્ત દુકાનદારો માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
હવે આંબેડકર સ્ટેચ્યુથી બસ સ્ટેન્ડનની દુકાનોનો વારો ?
આ સમગ્ર મામલે હવે સૌથી મહત્વની બાબત એ છે કે, નડિયાદ મહાનગરપાલિકાએ મૂળ તો આ સરદાર ભુવનની દુકાનોની નીચે વરસાદી કાંસની યોગ્ય સફાઈ ન થતી હોવાનો મામલો આગળ ધર્યો હતો. હવે મનપાએ શહેરના મધ્યમાં આવેલો આખો વરસાદી કાંસ રીડેવલપ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરી છે. ત્યારે આ વરસાદી કાંસ બનાવવા માટે સંતરામ રોડ પરની બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુથી બસ સ્ટેન્ડ તરફ આવતી દુકાનો પણ દૂર કરવાની તૈયારીઓ કરી લીધી હોવાની ચર્ચા છે. ત્યારે આ કાર્યવાહી બાદ તંત્ર દ્વારા આ દુકાનો તરફ આગેકૂચ કરાશે કે કેમ? તે અંગે ચર્ચાઓ ઉઠી છે.










