![]()
વડોદરાઃ તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લગતી વિવાદિત અને બદનામી થાય તેવી પોસ્ટ મૂકી ન્યાયમંદિરના એક વેપારી પાસે ખંડણી માગનાર બે શખ્સ સામે કારેલીબાગ પોલીસે ખંડણીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ન્યાયમંદિર વિસ્તારમાં મદનઝાંપા રોડ પર રહેતા અને સાયકલની દુકાન ધરાવતા ઇસ્માઇલ મોહંમદહુસેન તૈયડીવાલાએ પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૧૪મી જૂને આરીફ સૈયદના ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ જોઇ હતી.જેમાં તાજેતરની ચૂંટણીનો ઉલ્લેખ કરી ટ્રસ્ટી અને આગેવાન સામે વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી.આ પોસ્ટમાં મારું પણ નામ લખવામાં આવ્યું હતું.
હું જુદીજુદી મસ્જિદોમાં નમાજ પઢવા માટે જતો હોવાથી ગઇ તા.૧૭મીએ સાંજે મચ્છીપીઠ વિસ્તારમાં ગયો ત્યારે આરીફ સૈયદ અને સદ્દામહુસેન મને મળ્યા હતા.આરીફે મને કહ્યું હતું કે,રૃ.૫૦ હજાર આપ નહિતર આવી બીજી પોસ્ટ પણ વાયરલ કરી બદનામ કરી દઇશ.
વેપારીએ ફરિયાદમાં કહ્યું છે કે,આ તબક્કે તેના મિત્ર સદ્દામ હુસેને પણ ખંડણી માગી આવી પોસ્ટ વાયરલ કરતા જ રહીશું તેવી ધમકી આપી હતી.કારેલીબાગના પીએસઆઇ ઇન્દ્રજિતસિંહ રાઉલજી અને ટીમે ફરિયાદને આધારે આરીફ કાદરી સૈયદ (મચ્છીપીઠ,રાવપુરા) અને સદ્દામહુસેન યુસુફ શેખ(નવાબવાડા)ની શોધખોળ હાથ ધરી છે.










