![]()
– જેલમાં અપૂરતી સુવિધાથી કેદીઓમાં ઘર્ષણના બનાવો વધ્યા
– ક્ષમતા કરતા બમણાથી વધુ કેદીઓ વચ્ચે ધ્રાંગધ્રા સબજેલના ૩૦થી વધુ કેદીને પણ સુરેન્દ્રનગર ખસેડાયાઃ 300 કેદીની સામે માત્ર 21 જ કર્મચારી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાની મુખ્ય સબજેલ હાલ તેની સ્થાપનાના ૧૨૦ વર્ષના ઇતિહાસમાં સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. ૧૯૦૫માં અંગ્રેજોના શાસનકાળ દરમિયાન નિમત આ જેલની ભૌગોલિક સ્થિતિ અને વહીવટી માળખું અત્યારના વધતા જતા ક્રાઈમ રેટ સામે વામણું પૂરવાર થઈ રહ્યું છે. પ્રથમ વખત જેલમાં કેદીઓની સંખ્યા ૩૦૦ના આંકડાને સ્પર્શી ગઈ છે, જે જેલ પ્રશાસન માટે ખતરાની ઘંટડી સમાન છે.
સુરેન્દ્રનગર સબજેલની સત્તાવાર ક્ષમતા માત્ર ૧૨૫ કેદીઓની છે, પરંતુ હાલમાં અહીં ૧૩ મહિલાઓ અને ૨૮૭ પુરુષો સહિત કુલ ૩૦૦ કેદીઓ સજા કાપી રહ્યા છે. આ સંખ્યા વધવા પાછળનું મુખ્ય કારણ ધ્રાંગધ્રા સબજેલમાં ચાલી રહેલું રીનોવેશન કામ છે. ધ્રાંગધ્રા જેલ બંધ થતા ત્યાંના ૩૦થી વધુ કેદીઓને પણ સુરેન્દ્રનગર ખસેડાયા છે. જેલમાં કેદીની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે, પરંતુ સુરક્ષા અને વ્યવસ્થા માટેનો સ્ટાફ અત્યંત મર્યાદિત છે. હાલ માત્ર ૨૧ કર્મચારીઓ ૩૦૦ કેદીઓ પર દેખરેખ રાખી રહ્યા છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જેલ અધિક્ષક, સુબેદાર અને હવાલદાર જેવી મુખ્ય વહીવટી જગ્યાઓ વર્ષોથી ખાલી પડી છે.
અપૂરતી જગ્યા અને સુવિધાઓના અભાવે કેદીઓ અને જેલ સ્ટાફ વચ્ચે અવારનવાર ઘર્ષણની ઘટનાઓ બની રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં જ બે કેદીઓએ શેમ્પુ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યોે હોવાના અહેવાલોએ તંત્રને દોડતું કરી દીધું છે. જેલમાં જગ્યાના અભાવે કેન્ટીન કે અન્ય રચનાત્મક પ્રવૃત્તિઓ પણ શક્ય બની રહી નથી.
120 વર્ષમાં ક્યારેકય કામયી મેડિકલ ઓફિસરની નિમણૂક જ ન થઇ
જેલની ગંભીર પરિસ્થિતિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે જેલની સ્થાપનાથી આજ દિન સુધી (૧૨૦ વર્ષમાં) અહીં ક્યારેય કાયમી મેડિકલ ઓફિસર કે ફિમેલ નર્સની નિમણૂક થઈ નથી. સામાન્ય બીમારીમાં પણ કેદીઓને સિવિલ હોસ્પિટલ લઈ જવા માટે સ્ટાફને દોડધામ કરવી પડે છે, જે સુરક્ષાની દૃષ્ટિએ પણ જોખમી સાબિત થઈ શકે છે.
દસ વર્ષથી એક જ સ્થળે ફરજ બજાવતો સ્ટાફ શંકાના દાયરામાં
જેલના વહીવટમાં બીજી એક મોટી સમસ્યા સ્ટાફની બદલી ન થવાની છે. જેલ સિપાઈ સહિતના ૧૫થી વધુ કર્મચારીઓ છેલ્લા ૧૦ વર્ષથી એક જ જેલમાં ફરજ બજાવી રહ્યા છે. લાંબા સમય સુધી એક જ સ્થળે રહેવાને કારણે કેદીઓ અને સ્ટાફ વચ્ચેના સંબંધો ગાઢ બન્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. આ પરિસ્થિતિને કારણે જેલમાં ગેરકાયદેસર વસ્તુઓ કે પ્રતિબંધિત ચીજવસ્તુઓ પહોંચવી સરળ બની જાય છે, જે જેલની શિસ્તને નુકસાન પહોંચાડી રહી છે. તંત્ર દ્વારા આ સ્ટાફની તાત્કાલિક બદલી કરી નવા લોહીને સ્થાન આપવું અનિવાર્ય બન્યું છે.
નવી જેલના નિર્માણની તજવીજ
જેલની વણસતી જતી સ્થિતિનું નિરીક્ષણ કરવા એએસપી વેદિકા બિહાની, એલસીબી અને એસઓજી સહિતના કાફલાએ જેલની મુલાકાત લીધી હતી. ૧૨૫ની ક્ષમતા સામે ૩૦૦ કેદીઓનો આંકડો જોઈ ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા. આ સમસ્યાના કાયમી ઉકેલ તરીકે હવે બાકરથળી રોડ ઉપર નવી આધુનિક જેલ બનાવવા માટેની તજવીજ તેજ કરવામાં આવી છે. પોલીસ વિભાગ હાલમાં ન્યુસન્સ ફેલાવતા કેદીઓને અન્ય જિલ્લાની જેલમાં ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા પણ હાથ ધરી રહ્યું છે જેથી જેલની સુરક્ષા જળવાઈ રહે.










