![]()
મુંબઈ : ભારત તથા યુરોપિયન યુનિયન વચ્ચે થયેલા મુકત વેપાર કરાર (એફટીએ)ને કારણે ટેરિફમાં ઘટાડા અને સારા બજાર જોડાણથી વિદેશી ઈન્વેસ્ટમેન્ટ આકર્ષવામાં મદદ મળશે એટલું જ નહીં ઉત્પાદનમાં વધારો કરાવશે અને શ્રમલક્ષી ક્ષેત્રોમાં ભારતની નિકાસ સ્પર્ધાત્મકતા વધારશે જે ભારત માટે ક્રેડિટ પોઝિટિવ બની રહેશે, એમ મૂડી’ઝ રેટિંગ્સના એક રિપોર્ટમાં જણાવાયું છે.સદર કરાર હેઠળ યુરોપ ખાતે ભારતની ૯૩ ટકા નિકાસને ડયૂટી ફ્રી પ્રવેશ મળશે જ્યારે યુરોપ ખાતેથી વાઈન તથા લકઝરી કારની આયાત સસ્તી થશે.
યુરોપ સાથે કરારથી ભારત તેના વેપાર સંબંધોમાં વૈવિધ્યતા લાવવાના પ્રયાસો કરે છે તેનું પ્રતિબિંબ પડયું છે.
કરારના અમલથી ભારત માટે તે ક્રેડિટ પોઝિટિવ બની રહેશે. નીચા ટેરિફ અને સારા બજાર જોડાણ ભારતમાં ઉત્પાદન ક્ષેત્રના વિકાસ કરવાના પ્રયાસને ટેકો મળી રહેશે એટલું જ નહીં વિદેશી ઈન્વેસ્ટમેન્ટ આકર્ષવામાં મદદ મળશે તથા શ્રમલક્ષી ક્ષેત્રની નિકાસ સ્પર્ધાત્મકતા વધારશે.
યુરોપ ખાતેથી થનારી આયાતો પર નીચા ટેરિફને કારણે કિંમતો ઘટાડવામાં મદદ મળશે.
ભારત વિશ્વની ત્રીજી મોટી કાર માર્કેટ છે ત્યારે કરારથી યુરોપના કાર ઉત્પાદકોને ભારતમાં તેમની કાર વેચવા માટે સરળ બજાર મળી રહેશે. જો કે આ મુકત વેપાર કરારની સફળતાનો આધાર વેપાર સરળતા અને નિયમનોને કેટલા હળવા કરવામાં આવે છે તેના પર રહેલી છે, એમ મૂડી’ઝ દ્વારા વધુમાં જણાવાયું છે.
એક વખત કરારના અમલ થયા બાદ ભારતના સ્ટીલ અને ઓટો સિવાય મોટાભાગના પ્રોડકટસને યુરોપમાં ડયૂટી ફ્રી બજાર મળી રહેશે. બીજી ૬ ટકા નિકાસ પર ભારતના નિકાસકારોને ટેરિફમાં ઘટાડો તથા કવોટા આધારિત ડયૂટી કન્સેસન મળી રહેશે. ભારતના માલસામાન પર યુરોપમાં સરેરાશ ટેરિફ ૩.૮૦ ટકા છે અને તે હવે ઘટી ૦.૧૦ ટકા આવી જશે.










