![]()
સુરત શહેરની ઓળખ અને ગૌરવ ગણાતા રાજમાર્ગ પર આવેલા ઐતિહાસિક ક્લોક ટાવર ને ફરી તેની મૂળ ઐતિહાસિક ઓળખ સાથે ઉજાગર કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા રીપેરીંગ, રિસ્ટોરેશન અને સંરક્ષણ માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. શહેરના ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવાના હેતુથી પાલિકાએ બજેટમાં જરૂરી જોગવાઈ કરી છે, જેમાં આ ઐતિહાસિક ક્લોક ટાવરને પણ આવરી લેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં આ ટાવર માટે અંદાજ તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
એક સમયે સુરતનું ગૌરવ ગણાતો રાજમાર્ગ અને તેનો ઐતિહાસિક ક્લોક ટાવર આજે મેટ્રોની લાંબા સમયથી ચાલી રહેલી કામગીરી તથા આસપાસ થયેલા ગેરકાયદે દબાણ ના કારણે તેની ચમક ગુમાવતો જણાઈ રહ્યો છે. ટાવરની આજુબાજુ તેમજ ફુટપાથ પર દબાણ, અવ્યવસ્થિત માળખાં અને અવગણનાને કારણે ઐતિહાસિક વારસાનું સન્માન જળવાતું નથી.
વિરોધાભાસ એ છે કે સુરત પાલિકા દ્વારા તાજેતરમાં બનાવવામાં આવતી કેટલીક નવી મિલકત અને બ્રિજ ટૂંકા ગાળામાં જ જોખમી બની જાય છે, જ્યારે 18મી સદીમાં યુરોપિયન શૈલીમાં બનેલા આ ક્લોક ટાવર આજે પણ અડીખમ ઉભું છે. જોકે, યોગ્ય માવજત અને સંરક્ષણ ના અભાવે ટાવરની ભવ્યતા અને ઐતિહાસિક મહત્તા ધીમે ધીમે ઝાંખી પડી રહી છે.
લાંબા સમય બાદ સુરત પાલિકાને આ ઐતિહાસિક વારસાની જાળવણી માટે વિચાર આવ્યો છે, તે શહેરના ઇતિહાસ પ્રેમીઓ માટે રાહતરૂપ બાબત ગણાઈ રહી છે.
સુરત પાલિકા દ્વારા આગામી સમયમાં ક્લોક ટાવરના રીપેરીંગ, રિસ્ટોરેશન અને સંરક્ષણ માટે અંદાજ તૈયાર કરી જરૂરી કામગીરી હાથ ધરવામાં આવશે, જે માટે બજેટમાં પણ જોગવાઈ કરવામાં આવી છે.
ક્લોક ટાવર નો ઇતિહાસ પર નજર કરીએ તો ઈ.સ. 1871 ના સમયગાળામાં સુરત દેશ-વિદેશના વેપારીઓ માટે મહત્વનું વ્યાપારી કેન્દ્ર હતું. તે સમયના જાણીતા પારસી વ્યાપારી ખાન બહાદુર બરજોરજી મેરવાનજી ફ્રેઝર ના પિતાજી મેરવાનજી ફ્રેઝર નું અવસાન થયું હતું. તે સમયમાં પ્રિયજનના અવસાન બાદ તેમની સ્મૃતિમાં સ્મારક બનાવવાની પરંપરા હતી. આ પરંપરા મુજબ બહાદુર બરજોરજીએ ઝાંપા બજાર વિસ્તારમાં આવેલી એક મોટા કૂવાના સ્થાને આશરે 80 ફૂટ ઊંચાઈ નો ભવ્ય ક્લોક ટાવર બનાવ્યો હતો.
તે સમયના લોકો માટે વ્યક્તિગત ઘડિયાળ ખરીદવાની સગવડ સીમિત હતી, તેથી શહેરના મધ્યસ્થ સ્થાને આવેલો આ ક્લોક ટાવર સમય જાણવાનો મહત્વપૂર્ણ સાધન બની રહ્યો હતો. યુરોપિયન શૈલીમાં બનાવાયેલા આ ટાવર માત્ર ઘડિયાળ પૂરતો સીમિત ન રહી, પરંતુ સુરતના ઐતિહાસિક વારસા અને સંસ્કૃતિનું પ્રતીક બની ગયો.
1871માં નિર્માણ થયેલો આ ક્લોક ટાવર આજે પણ અડીખમ ઊભો છે. જોકે, મોબાઈલ અને ડિજિટલ યુગમાં ઉછરી રહેલી યુવા પેઢી સુરતના સમૃદ્ધ ઇતિહાસથી પરિચિત બને અને શહેરના ગૌરવભૂત વારસાને નજીકથી જોઈ શકે, તે માટે ક્લોક ટાવરનું યોગ્ય સંરક્ષણ અત્યંત જરૂરી બની ગયું છે. આ દિશામાં સુરત મહાનગરપાલિકાએ લીધેલું પગલું આવકારદાયક માનવામાં આવી રહ્યું છે.
આગામી દિવસોમાં ક્લોક ટાવરના રીપેરીંગ, રિસ્ટોરેશન અને સંરક્ષણ માટેના અંદાજ તૈયાર થયા બાદ કાર્ય શરૂ થશે, જેથી સુરતનું આ ઐતિહાસિક ગૌરવ ફરી એકવાર તેની મૂળ ભવ્યતા સાથે શહેરવાસીઓ અને મુલાકાતીઓને નજરે પડી શકે.
સુરતના રાજમાર્ગ પર પારસી વેપારીના પિતાની યાદમાં બનેલા ટાવરની ચારેય તરફ ઘડિયાળ છે અને શહેરના દુર દુર સુધીના વિસ્તારમાં આ ઘડિયાળમાં ચારેય તરફથી સમય જોવા મળતો હતો. એટલું જ નહીં પરંતુ સાંજના સમયે શાંત વાતાવરણમાં ભુતકાળમાં દૂર સુધી ટકોરા નો અવાજ સાંભળવા મળતો તેવું પણ લોકો કહી રહ્યા છે.
યુરોપિયન શૈલીમાં બાંધેલું આ ટાવર આશરે 80 ફૂટ ઊંચું છે અને ભૂતકાળમાં મોટી બિલ્ડીંગો ન હતી તેથી જ્યાં સુધી ટાવર દેખાય ત્યાં સુધી સમય દેખાય એટલું જ નહીં પરંતુ ટાવરની ચારે તરફ ઘડિયાળ હોવાથી અનેક લોકો સમય પણ જોઈ શકતા હતા.
આ ક્લોક ટાવરના ઘડિયાળની કલા અને ડિઝાઇન લોકોના આકર્ષણનું કેન્દ્ર બનતી હતી તેમાં પણ રોમન આંકડામાં ઘડિયાળના આંકડા ચારેય દિશામાંથી જોઈ શકાય તેવા બનાવતા અનેક લોકો માટે આ ટાવર સમય જોવા માટે ઉપયોગી બનતો હતો.










