![]()
મુંબઈ : આંતરરાષ્ટ્રીય નાણાં બજારો આજે જ્યારે વધુ ખંડિત અને જોખમ સંવેદન થઈ રહ્યા છે ત્યારે ભારતના સિક્યુરિટીઝ બજારના વિકાસને વૈશ્વિક સ્તરેથી બારીકાઈથી જોવાઈ રહ્યો છે એમ સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના ચેરમેન તુહીન કાંતા પાંડેએ જણાવ્યું હતું.
સિક્યુરિટીઝ બજાર પર એક પરિષદને સંબોેધતા તેમણે જણાવ્યું હતું કે એવા સમયે જ્યારે વૈશ્વિક નાણાં બજારો વધુ ખંડિત અને જોખમ સંવેદન બની રહ્યા છે ત્યારે ભારતના બજારના વિકાસ પર વિશ્વની નજર ટકેલી છે.
વિશ્વનું ભારત તરફ ધ્યાન વધી રહ્યું હોવાને કારણે આપણી બજારોને વધુ ઊંડી, વિશ્વસ્નિય તથા સ્થિતિસ્થાપક બનાવવાની જવાબદારી વધી જાય છે.
વૈશ્વિક મૂડી પ્રવાહમાં વધેલી વોલેટિલિટી વચ્ચે ચેરમેનની આ ટિપ્પણી આવી પડી છે.
પાંડેએ નોંધ્યું હતું કે ભારતની બજારનું કદ વધી રહ્યું છે ત્યારે તે વધુ જટિલ પણ બનતી જાય છે અને હાલની સિક્યુરિટીસ બજારના પાયાની રચના ટેકનોલોજી દ્વારા નંખાઈ રહ્યા છે.
આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ અને આધુનિક એનાલિટિકસ શક્તિશાળી ટુલ્સ પૂરા પાડી રહ્યા છે ત્યારે રોકાણકારોના રક્ષણ અને બજારની વિશ્વસ્નિયતા બાબતે સાવચેત રહી નવીનતાને પ્રોત્સાહન આપવાનો સેબીનો અભિગમ રહેલો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
નવીનતા દેખરેખને મજબૂત બનાવે છે, ગેરવ્યવહારની પદ્ધતિ પકડી શકે છે, ગેરરીતિને ઓળખી શકે છે એટલું જ નહીં નવી ટેકનોલોજી રોકાણકારોની પસંદગીની આપણી સમજને ઊંડી બનાવે છે.










