![]()
વડોદરાઃ ધો.૧૨ પછી આઈઆઈટી, એનઆઈટી સહિતની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટેની જેઈઈ મેઈન પરીક્ષાના પહેલા એટેમ્પ્ટનું પરિણામ આજે સાંજે જાહેર કરવામાં આવ્યું છે.આ પરિણામમાં વડોદરાના ૮૫ જેટલા વિદ્યાર્થીઓએ ૯૯ કરતા વધારે પર્સેન્ટાઈલ પ્રાપ્ત કર્યા છે.
એક અંદાજ પ્રમાણે વડોદરામાંથી લગભગ ૫૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી.જ્યારે આખા દેશમાંથી લગભગ ૧૩ લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેઠા હતા. વિદ્યાર્થીઓ હજી જેઈઈ મેઈનના બીજા એટેમ્પ્ટમાં પણ બેસી શકશે અને એ પછી ક્વોલિફાય થનારા વિદ્યાર્થીઓ જેઈઈ એડવાન્સની પરીક્ષા આપશે.
ભણતી વખતે ૧૦૦ ટકા એકાગ્રતા હોવી જોઈએ
રોજ વર્ગમાં હાજરી અને જેઈઈમાં પૂછાતા પ્રશ્નોની રોજ પ્રેક્ટિસ બહુ જરુરી છે.હું રોજ ૭ થી ૧૧ કલાક તૈયારી કરતો હતો.ક્લાસમાં ભણતી વખતે એકાગ્રતા જરુરી છે.બે વર્ષથી સોશ્યલ મીડિયાનો ઉપયોગ નથી કરી રહ્યો.યુ ટયુબ પર જરુર પડે તો શૈક્ષણિક લેકચર સાંભળી લેતો હતો.પિતા કેમિકલ એન્જિનિયર છે.
દેવ પ્રજાપતિ, ૯૯.૯૬ પર્સેન્ટાઈલ
જેઈઈ પેટર્નના પ્રશ્નોની પ્રેક્ટિસ અને મોક ટેસ્ટ જરુરી
મારી અપેક્ષા પ્રમાણે જ પરિણામ આવ્યું છે.ધો.૧૧ થી તૈયારી શરુ કરી દીધી હતી.મારુ માનવું છે કે, જેઈઈમાં જે પ્રકારના પ્રશ્નો પૂછાય છે તેની પ્રેક્ટિસ અને મોક ટેસ્ટ બહુ જરુરી છે.રોજ ચાર થી પાંચ કલાક પરીક્ષાની તૈયારીમાં જતા હતા.મારા પિતા એન્જિનિયર છે અને માતા આર્કિટેક્ટ છે.અભ્યાસમાંથી થોડો સમય કાઢીને ટીવી જોઈ લઉં છું અથવા તો દોસ્તોને મળીને થોડો સમય પસાર કરી લઉં છું.
ખુશી તેવાર, ૯૯.૯૪ પર્સેન્ટાઈલ
રોજે રોજ અને સતત તૈયારી હોવી જોઈએ
હું રોજ ઘરે જઈને રિવિઝન કરતો હતો.રોજનું ૬ થી ૮ કલાકનું વાંચન જરુરી છે.અભ્યાસ દરમિયાન સાતત્ય હોવું જોઈએ.એક દિવસ વાંચીને બીજા દિવસે તૈયારી નહીં કરીએ તો ચાલશે તેવું વલણ યોગ્ય નથી.મારા પિતા ફાર્મસીમાં છે.રોજ ૨૦ થી ૨૫ મિનિટ મોબાઈલનો ઉપયોગ કરીને ફ્રેશ થતો હતો.
માનવ ગુજજર, ૯૯.૯૩ પર્સેન્ટાઈલ
બે વર્ષથી મોબાઈલનો ઉપયોગ નથી કર્યો
બે વર્ષથી મોબાઈલને હાથ નથી લગાવ્યો.સ્માર્ટ વર્ક અને સાતત્ય પણ સફળતામાં મહત્વનો ભાગ ભજવે છે.જેઈઈની પરીક્ષામાં પુસ્તકમાંથી ગમે તે વસ્તુ પૂછી શકાય છે એટલે અભ્યાસમાં તમામ પાસા પર ધ્યાન આપવું જરુરી બની જાય છે.મારુ ધ્યેય આઈઆઈટીમાં કોમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરવાનું છે.માતા પીએચડી અને પિતા સિનિયર એકાઉન્ટન્ટ છે.
આદિત્ય ભટ્ટાચાર્ય, ૯૯.૯૨ પર્સેન્ટાઈલ










