![]()
વડોદરા શહેરમાં જાન્યુઆરી મહિના દરમિયાન હવાની ગુણવત્તા (AQI) ચિંતાજનક સપાટીએ રહી હતી. શહેરના જાંબુઆ, બાપોદ, ટ્રાન્સપેક, મંગળ બજાર અને સુભાનપુરા સહિતના વિસ્તારોમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિયમિત રીતે એકયુઆઈના આંકડા જાહેર કરવામાં આવતા હતા. પરંતુ છેલ્લા એક મહિનાથી મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ પર હવાની ગુણવત્તાના આંકડા દર્શાવવામાં આવતા નથી.
મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા મુજબ, સિસ્ટમનું મેન્ટેનન્સ ચાલી રહ્યું હોવાથી ડેટા અપડેટ કરવામાં વિલંબ થઈ રહ્યો છે.
કારેલીબાગ વિસ્તારમાં વડોદરાનું પ્રથમ 24 કલાક કાર્યરત રહેતું એકયુઆઈ સ્ટેશન શરૂ કરવામાં આવ્યા છે. સતત ઓરેન્જ ઝોનમાં નોંધાતા આંકડાઓ બાદ છેલ્લા ત્રણ દિવસથી પરિસ્થિતિમાં થોડો સુધારો જોવા મળ્યો છે. આજે કારેલીબાગ ખાતે AQI 115 નોંધાયો છે, જે યલ્લો ઝોનમાં આવે છે.
બીજી તરફ, ગઈકાલે નંદેશરી વિસ્તારમાં એકયુઆઈ 260 નોંધાયો હતો, જે ઓરેન્જ ઝોનમાં આવે છે. ઔદ્યોગિક વિસ્તારમાં પ્રદૂષણનું પ્રમાણ વધતાં સ્થાનિક રહેવાસીઓમાં ચિંતા વ્યાપી છે.
શહેરમાં હવાના ગુણવત્તાના આંકડા નિયમિત જાહેર થાય અને પ્રદૂષણ નિયંત્રણ માટે અસરકારક પગલાં લેવાય તેવી નાગરિકોની માગ ઉઠી રહી છે.










