![]()
– આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી
– હિંદુ બહુમતી ધરાવતા વિસ્તારોમાં આયોજનબદ્ધ રીતે અન્ય સમુદાયને વસાવવાનું ષડયંત્ર ચાલતું હોવાનો ગંભીર આક્ષેપ
નડિયાદ : ખેડા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કોમી એકતા ડહોળવાના પ્રયાસો થઈ રહ્યાં હોવાના આક્ષેપ સાથે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. વિશ્વ હિન્દુ પરિષદના પદાધિકારીઓએ કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, જિલ્લાના વિવિધ વિસ્તારોમાં હિંદુ બહુમતી ધરાવતા ગામોમાં આયોજનબદ્ધ રીતે ભૌગોલિક ફેરફારો એટલે કે ડેમોગ્રાફી ચેન્જ કરવાનું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે.
આ આવેદનપત્રમાં ખાસ કરીને અમદાવાદના વટવા, રખિયાલ, બાપુનગર અને જુહાપુરા જેવા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકો ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્થળાંતર કરી રહ્યાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વીએચપીના મતે આ સ્થળાંતર કુદરતી નથી પરંતુ એક ચોક્કસ પ્લાનિંગ હેઠળ કરવામાં આવી રહ્યું છે. આ રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે, ખેડા જિલ્લાના માતર, માછીયેલ, ગરમાળા, ત્રાજ, મહેમદાવાદ અને ખેડા જેવા ગામો મુખ્યત્વે લેન્ડ જેહાદના ટાર્ગેટ પર છે. આ ગામોની ખેતીની જમીન મૂળ ખેડૂતો પાસેથી ખરીદીને તેમાં હિંદુઓના નામ રાખી મહેસૂલના નીતિ નિયમોનો ભંગ કરીને મોટા પાયે પ્લોટિંગ કરવામાં આવે છે. ત્યારબાદ આ જમીનો પર ગેરકાયદેસર રીતે ફાર્મ હાઉસના નામે બાંધકામો ઉભા કરી દેવામાં આવે છે અને તેને વેચી દેવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠી છે. વહીવટી તંત્રની આંખ નીચે જમીન કૌભાંડ અને ગેરકાયદેસર વસાહતો ઉભી કરવામાં આવી રહી હોવા છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી તેવા આક્ષેપ સાથે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. જો વહીવટી તંત્ર દ્વારા આ બાબતે સઘન તપાસ કરીને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ પરિષદ દ્વારા આપવામાં આવી છે.
ચોક્કસ સમુદાય માટે રહેણાંકની જાહેરાતો સામે વિરોધ
ગરમાળા ગામની સીમના સિટી સર્વે નંબર ૯૭૮માં નિર્માણાધીન આશિયાના રેસિડેન્સીના ડેવલપર્સ દ્વારા આપવામાં આવેલી જાહેરાતો સામે વીએચપીએ વિરોધ નોંધાવ્યો છે. રજૂઆત મુજબ, આ જાહેરાતોમાં ફક્ત મુસ્લિમો માટે જ આ રહેણાંક હોવાનું સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું છે, જે ગેરબંધારણીય છે. આવા પ્રયાસોને કારણે સ્થાનિક હિંદુ સમાજમાં ભય અને અસલામતીની લાગણી જન્મી રહી છે, તેવો આક્ષેપ કરાયો છે.
હિંદુ યુવાન પર હુમલાની ઘટનાથી તંગદિલી
તાજેતરમાં ગરમાળા ગામે એક હિંદુ યુવાન પર ધામક દ્વેષ રાખીને છરી વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. આ પ્રકારની હિંસક ઘટનાઓથી સમગ્ર પંથકમાં તંગદિલી વ્યાપી ગઈ છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને અને શાંતિ જળવાઈ રહે તે માટે તંત્ર વહેલી તકે કડક પગલાં ભરે તેવી વીએચપીના કાર્યકરોએ કલેક્ટર સમક્ષ માંગણી કરી છે.
હિજરતની નોબત આવવાની ભીતિ
રજૂઆતકર્તાઓના મતે, જો આ પ્રકારે મોટા પાયે થઈ રહેલા ભૌગોલિક ફેરફારોને અટકાવવામાં નહીં આવે તો ભવિષ્યમાં મૂળ સ્થાનિક હિંદુઓ માટે મોટી મશ્કેલીઓ સર્જાઈ શકે છે. હિંદુ પરિવારોએ પોતાની વડવાઓની મિલકતો ઓછા ભાવે વેચીને સ્થળાંતર કે હિજરત ન કરવી પડે તે જોવાની જવાબદારી સરકાર અને વહીવટી તંત્રની છે.










