BJP State President News : ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષની નિમણૂકને લઇને દિલ્હીમાં પ્રધાનમંત્રી આવાસ પર દિવસભર બેઠકોનો દોર ચાલ્યો હતો. રાષ્ટ્રીય અઘ્યક્ષની પસંદગી પછી તરત જ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખનુ નામ જાહેર થાય તેવી શક્યતા જોવાઇ રહી છે .જોકે, ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખને લઇને આંતરિક ખેચતાણ જામી છે. અમિત શાહ, આનંદીબેન પટેલ અને સી.આર.પાટીલ જૂથ રાજકીય લોબિંગ કરી રહ્યુ છે. હવે કયુ જૂથ ફાવશે તે 20મી પછી ખબર પડશે. અત્યારે તો સૌની નજર દિલ્હી પર નજર મંડાઇ છે.
શાહ,પાટીલ-આનંદીબેન જૂથમાંથી કોણ ફાવશે
ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી.નડ્ડાને સ્થાને કોની નિમણૂક કરવી તે મામલે કોકડુ ગૂંચવાયુ છે. આરએસએસ અને ભાજપ વચ્ચે મથ્થાપચ્ચી ચાલી રહી છે જેના કારણે મડાગાંઠ સર્જાઇ હોવાનુ ચર્ચાઇ રહ્યુ છે. આજે દિલ્હીમાં ભાજપના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતીમાં પ્રધાનમંત્રી નિવાસસ્થાને ચર્ચાનો દોર ચાલ્યો હતો. હવે કોના નામ પર પસંદગીનો કળશ ઢોળાશે તે હજુ નક્કી થઇ શક્યુ નથી.
ઓબીસી નેતાને ભાજપનું સુકાન સોંપાય તેવી ચર્ચા
આ તરફ, ગુજરાતમાં પણ ઓબીસી નેતાને ભાજપનું સુકાન સોંપાય તેમ છે. જોકે, એવી ચર્ચા છેકે, અમિત શાહ પોતાના જૂથના વ્યક્તિને પ્રમુખ પદ અપાવવા સક્રિય થયાં છે. તો બીજી બાજુ, કેન્દ્રીય મંત્રીપદ મેળવ્યાં પછી ય સી.આર.પાટીલ ગુજરાતમાં પોતાનો રાજકીય દબદબો કાયમ રાખવા મથામણ કરી રહ્યાં છે કેમ કે, હવે પછી જે ગુજરાત પ્રદેશ પ્રમુખ આવશે તે પાટીલના માનીતાઓને જ નહીં, આખી દક્ષિણ ગુજરાત લોબીને સાઇડલાઇન કરે તેવી સંભાવના પ્રવર્તી રહી છે.
આનંદીબેન પટેલના ગુજરાતના આંટાફેરા વધ્યા
આ જોતાં પાટીલે પ્રદેશ પ્રમુખની નિમણૂકમાં ઉંડો રસ દાખવ્યો છે. આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગુજરાતના આંટાફેરા વધાર્યાં છે. સાથે સાથે તેમણે વડાપ્રધાન મોદી અને અમિત શાહની પણ મુલાકાત કરી છે. જે સૂચક મનાઇ રહ્યુ છે. આ ત્રણેય જૂથો ગુજરાત સંગઠન પર કબેજો મેળવી એક બીજાનું પત્તુ કાપવાના મૂડમાં છે.
રાષ્ટ્રીય અઘ્યક્ષની નિમણૂક થયા બાદ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખનો મામલો હાઇકમાન્ડ હાથ પર લેશે તેમ સૂત્રોનું કહેવુ છે. આમ, ગુજરાત ભાજપ પ્રદેશ કોણ બનશે તે વાતને લઇને તર્કવિતર્ક મંડાયા છે.