![]()
મુંબઈ : દેશના બેન્કિંગ ક્ષેત્રમાં થાપણ સામે ધિરાણનું પ્રમાણ ૮૦ ટકા જેટલુ ઊંચુ જોવા મળી રહ્યું છે ત્યારે આગામી ધિરાણ માગને પહોંચી વળવા બેન્કો માટે ભંડોળ ઊભું કરવાનું હાલમાં પડકારરૂપ બની રહ્યું છે. ભંડોળ ઊભા કરવાના વિવિધ સ્રોતો ઉપરાંત બેન્કો સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટસ (સીડી) મારફત પણ વધુ ને વધુ નાણાં ઊભા કરી રહી છે.
બેન્કો દ્વારા પ્રમાણમાં નીચા વ્યાજ દર ઓફર કરાતા હોવાથી બચતકારો પોતાની બચત ઊંચા વ્યાજ પૂરા પાડતા સાધનોમાં રોકી રહ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ૧૪ નવેમ્બરના પખવાડિયામાં સીડી મારફત રૂપિયા ૫૫૦૦૦ કરોડ ઊભા કર્યા છે જે ૧૯ સપ્ટેમ્બરના પખવાડિયામાં ઊભી કરાયેલી રકમ બાદ સૌથી ઊંચી રકમ છે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ડેટા પ્રમાણે, ૧૪ નવેમ્બરના અંતે સીડી પેટેની બાકી પડેલી રકમનો આંક રૂપિયા ૫,૩૪,૬૧૭ કરોડ રહ્યો હતો.
પોતાની ટૂંકા ગાળાની નાણાંકીય જરૂરિયાતને પહોંચી વળવા બેન્કો સીડી મારફત નાણાં ઊભા કરે છે. સાત દિવસથી એક વર્ષની મુદત માટે બેન્કો સીડી જારી કરીને નાણાં ઊભા કરી શકે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે ૩૧ ઓકટોબરના સમાપ્ત થયેલા પખવાડિયામાં કમર્સિઅલ બેન્કોમાં થાપણ થી ધિરાણનું પ્રમાણ પહેલી જ વખત ૮૦થી ઉપરના સ્તરે પહોંચી ગયું હતું જે બેન્કો થાપણ ઊભી કરવામાં પડકારોનો સામનો કરી રહી હોવાનું સૂચવે છે. દેશની આર્થિક પ્રવૃત્તિમાં સુધારા સાથે ધિરાણ માગ વધવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે, ત્યારે થાપણમાં મંદ વૃદ્ધિ ધિરાણ માગને પહોંચી વળવાનું મુશકેલ બનાવી શકે છે, જેને પહોંચી વળવા બેન્કો ભંડોળ માટે સીડીનો સહારો લઈ રહી છે.
રિઝર્વ બેન્કના ડેટા પ્રમાણે ધિરાણનો એકંદર આંક ૩૧ ઓકટોબરના પખવાડિયાના અંતે રૂપિયા ૧૯૩.૯૦ ટ્રિલિયન રહ્યો હતો જ્યારે થાપણનો આંક રૂપિયા ૨૪૧.૭૦ ટ્રિલિયન જોવા મળ્યો હતો.










