![]()
11 દિવસમાં બીજી વખત ઈ-મેઈલ મળતા કલાકો સુધી કામગીરી ઠપ્પ
એસઓજી, ડોગ સ્ક્વોડ અને
પોલીસના સર્ચ બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા તંત્રે લીધો રાહતનો શ્વાસઃ અરજદારો
પરેશાન
સુરેન્દ્રનગર –
સુરેન્દ્રનગરના અજરામર ટાવર ચોક વિસ્તારમાં આવેલી મુખ્ય પોસ્ટ
ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર પંથકમાં
ભારે ઉત્તેજના વ્યાપી ગઈ છે. આજે બપોરના સમયે અજાણ્યા શખ્સ દ્વારા ઈ-મેઈલ મારફતે આ
ધમકી આપવામાં આવતા ફરજ પરના ૮૦થી વધુ કર્મચારીઓ અને ઓફિસમાં આવેલા સેંકડો અરજદારોમાં
ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
ઉલ્લેખનીય
છે કે, અગાઉ
૨૭ ફેબુ્રઆરીના રોજ પણ આ જ પ્રકારે ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો હતો. આ ઘટનાના માત્ર ૧૧
દિવસમાં બીજી વખત મળેલી ધમકીને પગલે તંત્ર સફાળું જાગ્યું હતું. સુરક્ષાના ભાગરૃપે
તાત્કાલિક આખી બિલ્ડીંગ ખાલી કરાવવામાં આવી હતી. સુરેન્દ્રનગર એસ.ઓ.જી., ડોગ સ્ક્વોડ અને સિટી પોલીસની ટીમોએ કલાકો સુધી ખૂણેખૂણાની તપાસ કરી હતી.
પ્રાથમિક તપાસમાં આ ઈ-મેઈલ માત્ર ભય ફેલાવવા માટે કરવામાં આવ્યો હોવાનું અને તે ‘ફોરવર્ડ‘ કરેલો હોવાનું બહાર આવ્યું છે. તપાસના અંતે
કોઈ વિસ્ફોટક પદાર્થ ન મળતા એક કલાક બાદ કામગીરી ફરી શરૃ કરાઈ હતી.
પોસ્ટ
ઓફિસમાં કામ અર્થે આવેલા ગ્રાહક ઘનશ્યામભાઈ પરમારે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું
હતું કે, ‘વારંવાર
મળતી આવી ધમકીઓને કારણે સામાન્ય નાગરિકો અને ખાસ કરીને વૃદ્ધોને ભારે હાલાકી
ભોગવવી પડે છે. કલાકો સુધી તડકામાં બહાર લાઈનમાં ઉભા રહેવું પડે છે અને આથક વ્યવહારો
અટકી જાય છે.‘ ગ્રાહકોએ માંગ કરી છે કે પોલીસ માત્ર તપાસ
કરીને સંતોષ ન માને, પરંતુ આવા ખોટા ઈ-મેઈલ કરી અરાજકતા
ફેલાવનારા તત્વોને શોધી કાઢી તેમની સામે દાખલારૃપ કડક કાર્યવાહી કરે.










