વડોદરાઃ શહેરના મકરપુરા વિસ્તારમાં એક સગીરાનું અપહરણ કરી ફરાર થઇ ગયેલા દુકાનદારને શોધતાં પોલીસને નાકે દમ આવી ગયો હતો.આખરે ૨૦ વર્ષ બાદ તેને મહારાષ્ટ્ર ખાતેથી દબોચી લેવામાં સફળતા મળી હતી.
૨૦વર્ષ પહેલાં મકરપુરામાં નોનવેજની દુકાન ધરાવતો ફિરોજખાન દુકાનની સામે જ રહેતી એક સગીરાને ફોસલાવીને ફરાર થઇ જતાં પોલીસ તેને શોધી રહી હતી.જ્યારે સગીરાનો ઘણા સમય પહેલાં જ છૂટકારો થઇ ગયો હતો.
૨૦ વર્ષમાં આરોપીનો ચહેરો પણ બદલાઇ ગયો હોવાથી પોલીસને તેના કોઇ જ સગડ મળતા નહતા.આરોપીને મોંઢે એક મસો હોવાની અને પડીકીની ટેવ વાળો હોવાની અને મહારાષ્ટ્રના વસઇ વિરારના ઔધોગિક વિસ્તારમાં રહેતો હોવા સિવાય બીજીકોઇ જ માહિતી પોલીસ પાસે નહિ હોવાથી ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ આરજી જાડેજાએ વારંવાર ટીમો મોકલી હતી.
ચાર દિવસ પહેલાં મોકલેલી એક ટીમે ફૂડ ડિલિવરી બોય,ટ્રાન્સપોર્ટના ડ્રાઇવર-ક્લિનર,કસ્ટમર જેવા વેશ ધારણ કરી આ વિસ્તારમાં પડાવ નાંખી ફિરોજખાન મુસ્તાકખાન પઠાણ(ઉં.૫૫ વર્ષ)(રહે. એક્રોપોલિસ એપાર્ટમેન્ટ,વિરાર વેસ્ટ, પાલઘર,મહારાષ્ટ્ર,મૂળ યુપી)ને લોકેટ કરવામાં સફળતા મેળવી હતી.ફિરોજ ઇન્ફિનિટી સ્કવેર બિલ્ડિંગમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હોવાનું કન્ફર્મ થતાં તેને દબોચી લઇ વડોદરા લવાયો છે.










