![]()
અમદાવાદ, રવિવાર
શહેરના અમરાઇવાડી પુનમશેઠની ચાલીનો એક વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. જેમાં એક સગીરા હાથમાં છરી લઇને તેના પાડોશમાં રહેતી બે મહિલાઓ પર હુમલો કરવા જાય છે. દેશી દારૂની અગાઉની તકરારની અદાવત રાખીને સગીરાએ આ હુમલો કર્યો હતો. જે વિડીયો વાયરલ થતા અમરાઇવાડી પોલીસને ગુનો નોંધવાની ફરજ પડી હતી.
આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે અમરાઇવાડી ભીલવાડામાં આવેલી પુનમ શેઠની ચાલીમાં રહેતા ઉષા પટેલના પુત્ર દિપક અને તેના મિત્રને ગંગારામ ગોસ્વામી સાથે દેશી દારૂના મામલે તકરાર થઇ હતી. ગંગારામની દાદાગીરી એટલી બધી હતી કે દિપક ડરીને તેની પત્ની સાથે અન્ય સ્થળે રહેવા માટે જતો રહ્યો હતો. શનિવારે દિપકની પત્ની ઉષાબેનને મળવા માટે આવી ત્યારે ગંગારામની ભત્રીજી ખુલ્લી છરી લઇને ઉષાબેન અને તેમની પુત્રવધુને મારવા માટે દોડી આવી હતી.
જ્યારે તેની સાથે આવેલી અન્ય મહિલાઓ પણ આવીને ઉષાબેન અને તેમની પુત્રવધુને માર માર્યો હતો. આ વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી હતી અને ઉષાબેનની ફરિયાદ નોંધીને સગીરા તેમજ અન્ય મહિલાઓ વિરૂદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં દારૂનો વ્યવસાય કરતા તત્વોનો ભારે આતંક છે અને પોલીસ રેડ કરે તો સ્થાનિક લોકોએ બાતમી આપી છે તેમ કહીને માર મારે છે.








