![]()
A ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ : વેપારીએ દાગીના બનાવવા માટે કટકે-કટકે 357 ગ્રામ ફાઇન સોનું આપ્યું હતું
રાજકોટ, : રાજકોટમાં સોની વેપારીઓનું સોનું લઇ કારીગરો ભાગી જતા હોવાના કિસ્સા હવે સામાન્ય બની ગયા છે. મોરબી રોડ પરના અભીરામ પાર્કમાં જે.કે. કોમ્પલેક્સમાં રહેતા જયદિપભાઇ ઝીંઝુવાડીયા (ઉ.વ. 35)નું રૂા. 40 લાખનું સોનું કારીગર હારૂન કૌશર શેખ (રહે. હાથીખાના શેરી નં. 13) ઓળવી ગયાની ફરિયાદ એ.ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઇ છે.
ફરિયાદમાં જયદિપભાઇએ જણાવ્યું છે કે ઘરેથી ભક્તિ ઓર્નામેન્ટ નામની પેઢી રાખી સોનાના દાગીના બનાવવાનું કામ કરે છે. છેલ્લા દોઢેક વર્ષથી જુની ગુજરી બજાર જ્વેલ પોઇન્ટ સામેના બિલ્ડિંગમાં દુકાન ધરાવતા હારૂનને ફાઇન સોનું આપી દાગીના બનાવડાવતા હતા. છેલ્લે તેણે સોય, દોરા અને લટકણ વગેરે દાગીના બનાવવાનું કામ હારૂનને સોપ્યું હતું.
ગત સપ્ટેમ્બર માસમાં સોની બજાર બોઘાણી શેરીમાં એ.બી. ટાવરમાં આવેલ આર.જે. ઓર્નામેન્ટમાં રૂા. 11.42 લાખ RTGS થી મોકલ્યા હતા. જેના આધારે હારૂન ત્યાંથી 100 ગ્રામ ફાઇન સોનાનું બિસ્કિટ દાગીના બનાવવા લઇ ગયો હતો. તેના થોડા દિવસ બાદ ફરીથી આર.જે. ઓર્નામેન્ટમાં રૂા. 28.9 લાખ આરટીજીએસથી મોકલ્યા હતા. જેના આધારે હારૂન 257 ગ્રામ ફાઇન સોનું લઇ ગયો હતો.
8 દિવસમાં દાગીના બનાવી આપવાની વાત કરી હતી. પરંતુ વાયદો પુરો નહીં કરતા પુછ્યું હતું ત્યારે થોડા દિવસમાં બનાવી આપીશ તેમ કહીં ટાઇમ પસાર કરતો રહ્યો હતો. ગત ઓક્ટોબર માસમાં તેની દુકાને જતા ફરીથી બહાના બતાવ્યા હતા. ત્યાર પછી દુકાન જ બંધ કરી ક્યાંક જતો રહેતાં આખરે તેના વિરૂદ્ધ આજે એ.ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી છે.










