![]()
Jamnagar : જામનગર નજીક સચાણાના દરિયાકિનારે આવેલા વાવાઝોડાને કારણે માછીમારોની હાલત કફોડી બની છે. આ વાવાઝોડામાં અંદાજે 50 જેટલી માછીમારી બોટોને ભારે નુકસાન થયું છે, જેના કારણે માછીમારોની આજીવિકા પર ગંભીર અસર પડી છે.
તાલુકા પંચાયતના માજી સભ્ય કાસમ કકકલે જણાવ્યું હતું કે,ગુરુવારે બપોરના 3.30થી 4.00 વાગ્યાના અરસામાં આવેલા ભયાનક વાવાઝોડાને કારણે બોટોને મોટું નુકસાન થયું છે. કેટલીક બોટો તો સંપૂર્ણપણે તૂટી ગઈ છે અને બિનઉપયોગી બની ગઈ છે.
કકકલે વધુમાં જણાવ્યું કે, અત્યાર સુધી ફિશરીઝ વિભાગના કોઈ પણ અધિકારીએ સ્થળ પર આવીને નુકસાનીનું નિરીક્ષણ કર્યું નથી. તેમણે સરકારને વિનંતી કરી છે કે અધિકારીઓ રૂબરૂ આવીને નુકસાનીનો સર્વે કરે.
માછીમારોની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને, તેમણે સરકાર પાસે યોગ્ય વળતર અને સહાયની માંગ કરી છે, જેથી આ ગરીબ માછીમારોને આર્થિક ટેકો મળી શકે અને તેઓ ફરીથી પોતાનો વ્યવસાય શરૂ કરી શકે.










