![]()
Vadodara : વડોદરા શહેરના સમા વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં એક આધેડ વ્યક્તિએ ઝંપલાવી મારી આપઘાત કર્યો હોવાની આશંકા વ્યક્ત થતાં તંત્ર હરકતમાં આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને કેનાલમાં શોધખોળની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, સ્થાનિક લોકોએ એક વ્યક્તિને કેનાલમાં કૂદતા જોયા હોવાની માહિતી પોલીસને આપતા બચાવ કામગીરી શરૂ કરાઈ હતી. ઘટનાને પગલે સમા પોલીસ સ્ટેશનની ટીમ પણ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે સમા વિસ્તારમાં આવેલી નર્મદા કેનાલમાં અગાઉ પણ આપઘાતની અનેક ઘટનાઓ બની ચૂકી છે, જેના કારણે આ વિસ્તાર ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. હાલ ફાયર બ્રિગેડ દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે અને વ્યક્તિ અંગે વધુ માહિતી મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે.










