![]()
મુંબઈ : ઇરાન યુદ્ધને કારણે ક્રુડ તેલના ભાવમાં આવેલા ઉછાળાથી ફુગાવો વધવાની ચિંતા અને ડોલર સામે રૂપિયામાં વધતી નબળાઈને પરિણામે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ) દ્વારા ભારતીય ઈક્વિટીસમાંથી નાણાં પાછા ખેંચવાની માત્રા માર્ચમાં કોઈ એક મહિનાની અત્યારસુધીની વિક્રમી રહી છે.
૨૮ ફેબુ્રઆરીના યુદ્ધ ફાટી નીકળ્યા બાદ એફઆઈઆઈએ ભારતીય ઈક્વિટીસમાં ૧૨.૧૪ અબજ ડોલરની વેચવાલી કરી છે જે કોઈ એક મહિનાની વિક્રમી વેચવાલી હોવાનું એેક રિપોર્ટમાં જણાવાયું હતું.
માર્ચમાં ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો દ્વારા ઈક્વિટી કેશમાં રૂપિયા ૧,૨૮,૦૬૫.૬૫ કરોડની નેટ લેવાલી રહી છે જ્યારે વિદેશી રોકાણકારોની ઈક્વિટી કેશમાં રૂપિયાની દ્રષ્ટિએ ૧,૧૧,૩૭૭.૩૫ કરોડની નેટ વેચવાલી રહી છે.
માર્ચમાં આવેલી જંગી વેચવાલીને પરિણામે વર્તમાન નાણાં વર્ષમાં વિદેશી રોકાણકારોનો ઈક્વિટી કેશમાં વેચવાલીનો આંક રૂપિયા ત્રણ લાખ કરોડને પાર કરી જવાની શકયતા છે.
આ ઉપરાંત ફૂલી એકસેસિબલ રુટ હેઠળ નેટ બોન્ડ વેચાણનો આંક પણ ૧૫૨ અબજ રૂપિયા (૧.૬૧ અબજ ડોલર) રહ્યો છે જે છ વર્ષ પહેલા શરૂ કરાયેલી આ સ્કીમ બાદ સૌથી ઊંચી વેચવાલી રહી છે.
વિદેશી રોકાણકારોના જંગી આઉટફલોસને કારણે ડોલર સામે રૂપિયો ઐતિહાસિક નીચી સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે. સપ્તાહ અંતે ડોલર સામે રૂપિયો ગબડી ૯૪.૭૮ પહોંચી ગયો હતો. યુદ્ધના પ્રારંભ બાદ છેલ્લા એક મહિનામાં રૂપિયો ૪.૨૦ ટકા જેટલો ઘટી ગયો છે.રૂપિયામાં ઘટાડાથી વિદેશી રોકાણકારોની નુકસાની વધી રહી છે જેને પગલે તેઓ ભારતીય એસેટસમાંથી નીકળી રહ્યા છે.
યુદ્ધને કારણે ક્રુડ તેલના ભાવમાં ધરખમ ઉછાળો આવ્યો છે જેને કારણે ભારત માટે બૃહદ્ જોખમો વધી ગયા છે. ભારત તેની ક્રુડ તેલની આવશ્યકતામાંથી ૮૦ ટકા આયાત દ્વારા પૂરી કરે છે.
મધ્ય પૂર્વમાં રાજકીયભૌગોલિક તાણને પરિણામે ભારતીય બજારમાં આવી ગયેલા કરેકશનનો ડીઆઈઆઈ લાભ લઈ રહી છે. ડીઆઈઆઈની ખરીદીને પરિણામે શેરબજારને આવશ્યક ટેકો મળી રહ્યો છે.










