![]()
આસામમાં પ્રખ્યાત સિંગર ઝુબીન ગર્ગને કોંગ્રેસ નેતાએ યાદ કર્યા
દેશ વિદેશ નીતિ અને આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે ત્યારે મોદીને માત્ર સીમાંકનની ચિંતા : કોંગ્રેસ
નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આસામના પ્રખ્યાત સિંગર ઝુબીન ગર્ગને યાદ કર્યા હતા, રાહુલે કહ્યું હતું કે ઝુબીન ગર્ગે ગીતોના માધ્યમથી આસામના લોકોને એક કર્યા તેવી જ રીતે કોંગ્રેસ પણ પોતાના કામોથી લોકોને એક કરવાનું કામ કરી રહી છે. આસામમાં એક પછી એક ચૂંટણી રેલીઓને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આસામમાં હિમંતા બિસ્વા સર્માની સરકારે લોકો વચ્ચે માત્ર ભાગલા પડાવવાનું જ કામ કર્યું છે.
તાજેતરમાં જ આસામના પ્રખ્યાત સિંગર ઝુબીન ગર્ગનું મોત નિપજ્યું હતું જેને કારણે આખુ આસામ ગમગીન થઇ ગયું હતું. તેમને યાદ કરતા કોંગ્રેસ નેતા રાહુલે કહ્યું હતું કે ઝુબીન ગર્ગે આજીવન આસામના લોકોને એક કરવાના પ્રયાસો કર્યા, તેમણે કોઇ પણ સાથે ક્યારેય ગેરવર્તન નથી કર્યું. કોંગ્રેસની ફિલોસોફી પણ એવી જ છે જે નફરતની સામે પ્રેમનો ફેલાવો કરે છે.
બીજી તરફ કોંગ્રેસે સીમાંકન પ્રસ્તાવને લઇને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા, તેમણે કહ્યું હતું કે સીમાંકનને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. મોદી કહે છે નવા સીમાંકનને કારણે લોકસભાની બેઠકોમાં ૫૦ ટકાનો વધારો થાય તો પણ તેની કોઇ જ આડ અસર દક્ષિણ ભારતના રાજ્યો પર નહીં થાય. મોદી જુઠ બોલી રહ્યા છે, નવા સીમાંકનને કારણે એ રાજ્યોમાં વધુ ફાયદો થશે જ્યાં પહેલાથી જ વસતી વધુ છે. હાલમાં દેશ વિદેશ નીતિ અને આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિધાનસભા અને લોકસભાની બેઠકો વધારવાની ચિંતા છે. જ્યારે આ સીમાંકન મુદ્દે લોકોની સાથે કોઇ ચર્ચા પણ નથી કરવામાં આવી.










