![]()
Bihar CM Samrat Choudhary Death Threat: બિહાર રાજ્યના નવનિયુક્ત મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને મોબાઈલ ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં અમદાવાદની સાણંદ પોલીસે મોટી સફળતા મેળવી છે. બિહારના મુંગેર જિલ્લાના સંગ્રામપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગુનાના આરોપીને સાણંદ પોલીસે સાણંદ-કડી રોડ પરથી ઝડપી પાડ્યો છે. પકડાયેલા આરોપીએ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જ પોતાનો ગુનો કબૂલી લીધો હતો, જેને પગલે પોલીસે તેને રાઉન્ડ-અપ કરીને આગળની કાયદાકીય કાર્યવાહી માટે બિહાર પોલીસને સોંપી દીધો છે.
બિહારના મુખ્યમંત્રીને ફોન પર ધમકી આપવા મામલે સંગ્રામપુર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. આ બનાવની જાણ થતાં સતત બિહાર પોલીસના સંપર્કમાં રહીને સર્વેલન્સ સ્ટાફને ધમકી આપનાર શખ્સના મોબાઈલ નંબરના આધારે આરોપીનું લોકેશન ટ્રેસ કરી તેને દબોચી લેવામાં આવ્યો હતો.
પોલીસની તપાસમાં પકડાયેલા આરોપીની ઓળખ શેખર ક્રિષ્ના યાદવ (ઉં.વ. 32) તરીકે થઈ છે. મૂળ બિહારના બાંકા જિલ્લાના બેલહર તાલુકાના ખરૌધા ગામનો વતની શેખર યાદવ હાલ સાણંદ તાલુકાના નિધરાડ ગામ પાસે આવેલી થાર ડ્રાયપોર્ટ કંપનીમાં જલારામ ટ્રાન્સપોર્ટની ગાડીમાં રહીને કામ કરતો હતો.










