![]()
Congress Protest In Tharad: ભાજપ સરકાર દ્વારા લોકશાહીના મૂલ્યોના થઈ રહેલા કથિત હનન અને ભ્રષ્ટ વહીવટના વિરોધમાં શુક્રવારે(17 એપ્રિલ, 2026) થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા થરાદ પ્રાંત અધિકારીની કચેરી ખાતે ‘લોકશાહી બચાવો’ ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં વાવ-થરાદ પંથકના કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉમટી પડી સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ સરકાર અને તેમની સાથે મિલીભગત ધરાવતા ભ્રષ્ટ અધિકારીઓ તેમજ વચેટીયાઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માગ કરી છે.
થરાદ પ્રાંત અધિકારીની કચેરીએ કોંગ્રેસનો હલ્લાબોલ
પ્રદર્શનકારીઓએ આક્ષેપ કર્યો હતો કે, વર્તમાન સરકારમાં લોકશાહીનું સતત અપમાન થઈ રહ્યું છે, જેના કારણે પ્રજામાં દિવસેને દિવસે રોષ વકળી રહ્યો છે. વાવ-થરાદ જિલ્લા પંથકના કોંગ્રેસના અગ્રણી સભ્યો, સ્થાનિક નેતાઓ અને મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો એકઠા થઈને ભાજપ સરકાર અને ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આ પણ વાંચો: છોટા ઉદેપુરમાં મનીષાબહેન વકીલને લોકોએ ઘેર્યા, મંત્રીએ કહ્યું- ગાંધીનગર સુધી રજૂઆત કરીશું
કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે, ‘ભાજપ સરકારની તાનાશાહી હવે પરાકાષ્ઠાએ પહોંચી છે. સરકારી કચેરીઓમાં ભ્રષ્ટ અધિકારીઓનો રાફડો ફાટ્યો છે. સામાન્ય જનતાના કામો થતાં નથી અને લોકશાહીના નામે તાયફાઓ થઈ રહ્યા છે. જ્યાં સુધી જનતાને ન્યાય નહીં મળે અને ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલાં નહીં લેવાય ત્યાં સુધી કોંગ્રેસ જનહિતમાં આંદોલન ચાલુ રાખશે.










