![]()
પાદરા.પાદરા તાલુકાના તાજપુરા ગામની સીમમાં આવેલી નર્મદા કેનાલ નજીક પ્રેમી યુગલ દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રેમી યુવકનું મોત થયું છે. જ્યારે સગીરવયની પ્રેમિકાને સ્થાનિક લોકો દ્વારા બચાવી લેવામાં આવી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, પાદરા પોલીસ સ્ટેશનમાં પુત્ર ગુમ થયાની જાણ યુવકના પિતા દ્વારા કરવામાં આવી હતી. ગુમ થયેલા યુવક વિવેકકુમાર ભરતભાઈ પરમાર ઉં.વ.૨૦ (રહે. રાયપુરા, તા. વડોદરા) અને સગીર યુવતી એકબીજા સાથે પ્રેમ સંબંધમાં હતા અને લગ્ન કરવા માંગતા હતા. પરંતુ પરિવારજનોને તેમના સંબંધની જાણ થતા લગ્નમાં અડચણ ઊભી થશે તેવો ડર હતો. જેના કારણે બંનેએ તા. ૧૬ એપ્રિલના રોજ બપોરે બે થી અઢી વાગ્યાના સમયગાળા દરમિયાન તાજપુરા ગામની સીમમાં રાજષ ફાર્મ પાસે પસાર થતી નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું. તે દરમિયાન રસ્તા પરથી પસાર થતાં દંપતી દક્ષાબેન મકવાણા અને તેમના પતિ બુધાભાઈ મકવાણાએ બહાદુરી દાખવી સગીર યુવતીને ઓઢણી વડે પાણીમાંથી બહાર કાઢી બચાવી લીધી હતી. જોકે, યુવક કેનાલના પાણીમાં ગુમ થઇ ગયો હતો.
ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી શોધખોળ હાથ ધરી હતી, પરંતુ ભારે પ્રયત્નો છતાં યુવકનો કોઈ પત્તો લાગી શક્યો નથી. આજે સવારે સ્થાનિક તરવૈયાઓને કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે પાદરા પોલીસને જાણ કરવામાં આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.










