![]()
વડોદરા,અલકાપુરીની સંપતરાવ કોલોનીના એક પ્લોટના માલિકની ખોટી સહી કરી ઊભા કરેલા બાનાખતના આધારે વેચાણ દસ્તાવેજ થઇ ગયો હતો. જે અંગે પોલીસે મૃતક પિતા અને બે પુત્ર સામે ગોત્રી પોલીસે ગુનો દાખલ કર્યો છે.
મહારાષ્ટ્રના નાગપુર સિવિલ લાઇનમાં રહેતા ડો. નીના પરીખે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અમારી માલિકીનો ૪૭૫-૬૬-૫૦ ચો.મી.નો પ્લોટ અલકાપુરીની સંપતરાવ કોલોનીમાં છે.તે પ્લોટ પર બંગલો બાંધવામાં આવ્યો હતો. મારા પિતા દશરથભાઇ માણેકલાલ પરીખના અવસાન પછી આ મિલકત મારા ભાઇ દિપક,પ્રકાશ, ભરત, મીનાબેન અને મારા નામ પર થઇ હતી. ત્યારબાદ જૂન – ૨૦૦૯ માં મારા ભાઇઓ તથા બહેનના નામ કમી થતા હાલમાં આ મિલકત અમારા નામ પર ચાલે છે. તા. ૦૧ – ૧૨- ૧૯૯૨ ના રોજ આ મિલકત મુકેશ જમનાદાસ શાહ (રહે. સંપતરાવ કોલોની, અલકાપુરી) ને લીઝ કરી સુપરત કરી હતી. વખતો વખત લીઝની સમય મર્યાદા વધારવામાં આવી હતી. પિતાના અવસાન પછી મુકેશ શાહે ળીજમાં નક્કી થયેલી રકમ ચૂકવવાનું બંધ કર્યું હતું.જે અંગે અમે નોટિસ આપતા તેમણે એવો જવાબ આપ્યો હતો કે, મારા પિતાએ તેઓના લાભમાં તા. ૦૨ – ૦૯ – ૨૦૦૨ ના રોજનો બાનાખત કરી આપ્યો હતો, તેમજ વેચાણ દસ્તાવેજ કરવાનો બાકી રાખ્યો છે.તે બાનાખત રજીસ્ટર કરવામાં આવ્યું નથી. તેમાં મારા પિતાની ખોટી સહી છે. ત્યારબાદ તેમણે બાનાખતનો વિશેષ અમલ કરાવી લેવા માટે કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. તેમાં ૧૫ લાખ ચૂકવી દીધા હોવાનો ઉલ્લેખ છે.પરંતુ, જે તારીખે રૃપિયા ચૂકવ્યાનો ઉલ્લેખ છે. તે તારીખે મારા પિતા હયાત નહતા. સપ્ટેમ્બર – ૨૦૦૯ માં મુકેશ શાહે તેમના બે પુત્રો અમિત અને સુરભિત ના નામે વેચાણ દસ્તાવેજ કરી દીધો હતો. ગોત્રી પોલીસે આ કેસમાં વધુ પુરાવાઓ એકત્રિત કરવા માટે તપાસ હાથ ધરી છે.










