![]()
વડોદરા,શહેર નજીકના એક ગામમાં છેલ્લા એક મહિનાથી રહેતા પરપ્રાંતિય સગીર વયના પ્રેમીપંખીડા પૈકી પ્રેમિકાએ ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. વરણામા પોલીસે સગીરાના પરિવારજનોને અંદાજે ૩૦ કોલ કર્યા હતા. પરંતુ, કોઇ વડોદરા આવવા તૈયાર નથી. જેથી, મૃતદેહને કોલ્ડરૃમમાં મૂકવામાં આવ્યો છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મૂળ બિહારની ૧૬ વર્ષની કિશોરી તેની જ ઉંમરના વિધર્મી કિશોર સાથે ભાગીને વડોદરા આવી હતી. વડોદરા નજીકના એક ગામમાં તેઓ રહેતા હતા અને એક જ કંપનીમાં નોકરી કરતા હતા. ગઇકાલે પ્રેમી નોકરી પર જવા માટે તૈયાર થયો હતો. ઘરેથી બહાર નીકળીને તે પ્રેમિકાની રાહ જોતો હતો. ૧૫ મિનિટ સુધી પ્રેમિકા નહી ંઆવતા તેણે ઘરમાં જઇને તપાસ કરતા દરવાજો બંધ હતો. પ્રેમિકાએ દરવાજો નહીં ખોલતા પ્રેમી ઘરની પાછળની બારીમાંથી કૂદીને અંદર ગયો હતો.પ્રેમિકાએ પંખા પર દુપટ્ટા વડે ગળા ફાંસો ખાઇ લીધો હતો. તેણે બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યા હતા. દુપટ્ટો કાપીને પ્રેમિકાને નીચે ઉતારી હતી. પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો.
વરણામા પોલીસે કિશોરીના પરિવારજનોનો સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે, તેના પિતા અસ્થિર મગજના છે. માતાનું અવસાન થયું છે. પોલીસે તેના પરિવારના કાકા, મામા, પિતરાઇ ભાઇ સહિત અન્યને કોલ કર્યા હતા. પરંતુ, કોઇ મૃતદેહ લેવા વડોદરા આવવા તૈયાર નથી. આપઘાતનું કારણ જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.










