![]()
Naswadi Crime News: છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગઢબોરિયાદ ગામે માનવતાને શર્મસાર કરતી એક અત્યંત ક્રૂર ઘટના સામે આવી છે. માત્ર ચાંદીના કડાની લૂંટ કરવા માટે અજાણ્યા શખસોએ એક 65 વર્ષીય વૃદ્ધાને મોતને ઘાટ ઉતારી, તેના બંને પગ કાપી નાખતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી અનુસાર, ગઢબોરીયાદ ગામે રહેતા 65 વર્ષીય દશરીબેન ભીલ તરીકે મૃતકની ઓળખ થઈ છે. તે ગામના મુખ્ય માર્ગ પર આવેલા એક કાચા ઝૂંપડામાં એકલા રહેતા હતા. આદિવાસી પરંપરા મુજબ વૃદ્ધાએ પગમાં ચાંદીના કડા પહેર્યા હતા. લૂંટારુઓએ આ કડા કાઢવા માટે વૃદ્ધાની હત્યા કરી અને ત્યારબાદ ધારદાર હથિયારથી તેમના બંને પગ કાપી નાખ્યા હતા જેથી કડા સહેલાઈથી કાઢી શકાય.
ઘટના ગઢબોરીયાદ ગામના પ્રવેશદ્વાર પાસે જ બની છે. જ્યારે ગ્રામજનોને આ અંગે જાણ થઈ ત્યારે લોહીલુહાણ હાલતમાં વૃદ્ધાનો મૃતદેહ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: વટવામાં ઘરમાં જ દાટેલી યુવતીનું હાડપિંજર મળ્યું, DNA રિપોર્ટ ખોલશે હત્યાના રાઝ, આરોપી ‘પરિચિત’ હોવાની આશંકા
પોલીસ કાર્યવાહી હાથ ધરી
નસવાડી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પોલીસે અજાણ્યા શખસો સામે હત્યા અને લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.










