![]()
મુંબઈ : ૨૦૨૫-૨૬ના ઓકટોબરથી સપ્ટેમ્બરની વર્તમાન ખાંડ મોસમમાં સરકાર દ્વારા એકંદરે મંજુર કરાયેલા ૧૫.૮૭ લાખ ટન ખાંડ નિકાસ કવોટામાંથી પચાસ ટકા જેટલી જ ખાંડની નિકાસ શકય બનશે તેમ સરકારી સુત્રો માની રહ્યા છે.
ખાંડના વૈશ્વિક ભાવો નીચા પ્રવર્તતા હોવાથી વિશ્વ બજારમાં ભારત માટે ખાંડ નિકાસ કરવાનું મુશકેલ છે.વર્તમાન મોસમ માટે સરકારે પહેલા પંદર લાખ ખાંડ નિકાસની પરવાનગી આપી હતી. ત્યારબાદ વધુ પાંચ લાખની છૂટ આપવા નિર્ણય લેવાયો હતો.
પરંતુ મિલો તરફથી મંદ માગને કારણે છેવટે વધારાની પાંચ લાખમાંથી ૮૭૫૮૭ ટન વધુ ખાંડને નિકાસ માટે છૂટ અપાઈ હતી.
જો કે વિશ્વબજારમાં ખાંડના ભાવ પ્રતિ ટન ૪૩૦થી ૪૪૦ ડોલર બોલાઈ રહ્યા છે જ્યારે ભારતની ખાંડ પ્રતિ ટન ૪૫૦થી ૪૭૦ ડોલરમાં ઓફર થઈ રહી છે.ભારતના ભાવ બિનસ્પર્ધાત્મક હોવાથી વર્તમાન મોસમમાં મંજુર થયેલા નિકાસ કવોટા સામે પચાસ ટકા જેટલી જ ખાંડની નિકાસ શકય બનશે એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું.
વર્તમાન મોસમમાં અત્યારસુધીમાં પાંચ લાખ ટન ખાંડ નિકાસ થઈ ગયાનું પણ તેમણે ઉમેર્યું હતું. વર્તમાન મોસમમાં દેશમાં અત્યારસુધી ખાંડ ઉત્પાદન આંક ૨.૭૫ કરોડ ટન રહ્યો છે જ્યારે એકંદર અંદાજ ૨.૮૨ કરોડ ટનનો છે.










