![]()
Chhattisgarh IED Blast: છત્તીસગઢના બસ્તર ડિવિઝનમાં કાંકેર અને નારાયણપુર જિલ્લાની સરહદ પર નક્સલ વિરોધી અભિયાન દરમિયાન એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે. નક્સલીઓ દ્વારા પ્લાન્ટ કરવામાં આવેલા આઈઈડી (IED) ને નિષ્ક્રિય કરવા ગયેલી ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) ની ટીમ પર વિસ્ફોટ થતા 4 બહાદુર જવાન શહીદ થયા છે.
દુર્ઘટના કેવી રીતે બની?
કાંકેર એસપી નિખિલ રાખેચાએ જણાવ્યું કે, કાંકેર જિલ્લાના છોટેબેઠિયા પોલીસ સ્ટેશન વિસ્તારના કોરોસકોડા જંગલમાં સર્ચિંગ અને ડી-માઈનિંગ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું. આ વિસ્તાર કાંકેર અને નારાયણપુરની બોર્ડર પર આવેલો છે. નક્સલીઓએ જવાનોને નુકસાન પહોંચાડવા માટે જમીનમાં વિસ્ફોટકો દાટ્યા હોવાની બાતમીના આધારે જવાનો તેને નિષ્ક્રિય કરવા નીકળ્યા હતા. આ કામગીરી દરમિયાન અચાનક એક આઈઈડીમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો, જેની લપેટમાં જવાનો આવી ગયા હતા.
આ પણ વાંચો: LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
શહીદ થયેલા જવાનો
આ ભયાનક વિસ્ફોટમાં કાંકેર DRG ના કુલ 4 જવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ પૈકી ત્રણ જવાનોએ ઘટનાસ્થળે જ અંતિમ શ્વાસ લીધા હતા, જ્યારે એક જવાનનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
ઇન્સ્પેક્ટર સુખરામ વટ્ટી
કોન્સ્ટેબલ કૃષ્ણા કોમરા
કોન્સ્ટેબલ સંજય ગઢપાલે
કોન્સ્ટેબલ પરમાનંદ કોમરા (સારવાર દરમિયાન શહીદ)
4 DRG personnel of #Chhattisgarh
Police martyred in an accidental IED blast during de-mining ops along the Kanker–Narayanpur border. #Maoist pic.twitter.com/rQHjwQPNZR— Ashish (@KP_Aashish) May 2, 2026
બસ્તર આઈજીનું નિવેદન
બસ્તર રેન્જના આઈજી સુંદરરાજ પીએ આ ઘટના પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, આત્મસમર્પણ કરી ચૂકેલા માઓવાદીઓ દ્વારા મળેલી માહિતીના આધારે આ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. બસ્તર રેન્જમાં અગાઉ પણ સેંકડો આઈઈડી શોધીને નિષ્ક્રિય કરવામાં આવ્યા છે, પરંતુ આજની ઘટનામાં જ્યારે પોલીસ ટીમ વિસ્ફોટકો નિષ્ક્રિય કરી રહી હતી ત્યારે અચાનક બ્લાસ્ટ થતા આ જાનહાનિ થઈ છે. હાલ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન તેજ કરી દેવામાં આવ્યું છે અને શહીદ જવાનોના પાર્થિવ દેહને સન્માનપૂર્વક તેમના વતન મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.










